ઉપલા કાંઠાના દબંગ નેતાને કારણે પક્ષની પણ ખરડાતી આબરૂ
સૌરાષ્ટ્રના રાજકરણમાં ભાજપને થઈ રહેલા એક પછી એક ડેમેજને માત્ર આપ જ કંટ્રોલ કરી શકો છો. જુલાઈ 2020માં ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે નિમણૂક થઈ ત્યારથી લઈ આજ સુધી તમે ભારતીય જનતા પક્ષને સંગઠિત કર્યો છે, તેના નાનામાં કાર્યકરને શક્તિશાળી બનાવ્યો છે. ટોચથી લઈ બુથલેવલ સુધીની કામગીરીમાં સફળ રહ્યા છો. બસ આવી જ રીતે હવે તમારા જ પક્ષના એક નેતાજીને ઈમાનદારી-શિષ્ટાચારના પાઠ ભણવવામાં સફળ થાજો
પ્રતિ આદરણીય શ્રી સી.આર. પાટિલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ
- Advertisement -
પાટિલજી, તમે 182માંથી 182 બેઠકો જીતવાનું લક્ષ્યાંક નિર્ધારીત કર્યું છે, ત્યારે આવા કલંકિત નેતાઓ તેમાં અંતરાય ન બને એ જોજો…
પાટિલજી રાજકોટ સામાકાંઠાના ભાજપી ભૂમાફિયા તરીકે પંકાઈ ગયેલા આ કૌભાંડી નેતાજી પર આપ લગામ કસશો એવી આશા છે, આ નેતાજીએ અધધધ 300 કરોડનું જમીન કૌભાંડ આચરી કાળાધોળાની હદ વટાવી દીધી છે.
2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182એ 182 બેઠકો પર ભારતીય જનતા પક્ષ જીત મેળવે તે માટે આપશ્રી દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો પ્રસંશનીય છે પરંતુ અત્યંત અફસોસ સાથે જણાવવું પડી રહ્યું છે કે, આપશ્રીના આ પ્રયાસો પર ટૂંકસમયમાં પાણી ફરી જાય તેવા કાર્યો આપનાં જ પક્ષનાં નેતા કરી રહ્યાં છે. ઉદાહારણ તરીકે રાજકોટના સામાકાંઠા વિસ્તારના ભાજપી નેતાનું 300 કરોડનું ગોંડલરોડ પર આચરેલું જમીન કૌભાંડ. કદાચ આ વાત નવાઈ પમાડશે અને કદાચ આ વાત નકામી લાગશે પણ આ વાત ખોટી બિલકુલ નથી. આપ શાણા છો, સમજુ છો, પ્રજાની સાથે પક્ષની પણ નાડ પારખી શકો છો વળી, નરેન્દ્રભાઈ મોદીની જેમ તમારામાં એ લાયકાત અને તાકાત બંને છે કે આપ ભ્રષ્ટાચારીને ભોં ભેગા કરી શકો, કૌભાંડીનો કાંકરો કાઢી શકો. એટલે તમને આ અંગે જણાવવું યોગ્ય લાગી રહ્યું છે. ધ્યાનથી વાંચજો અને સમજજો અને યોગ્ય લાગે તો પગલાં લેજો..
- Advertisement -
ભાજપ પ્રદેશ અધ્યક્ષ.. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ આપના પક્ષના એક માથાભારે નેતાજીનું મસમોટું જમીન કૌભાંડ બહાર પડી ચૂક્યું છે. ભાજપી નેતાનું આ કૌભાંડ છતું થયા બાદ સૌથી મોટું નુકસાન કોને થશે એ કહેવાની જરૂર નથી, આપ સમજી ગયા હશો. ભાજપના હિતેચ્છુઓ તરીકે આપ પાણી પહેલા પાળ બાંધી લ્યો એવી દરેકની ઈચ્છા છે. સૌરાષ્ટ્રના રાજકરણમાં ભાજપને થઈ રહેલા એક પછી એક ડેમેજને માત્ર આપ જ કંટ્રોલ કરી શકો છો. જુલાઈ 2020માં ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે નિમણૂક થઈ ત્યારથી લઈ આજ સુધી તમે ભારતીય જનતા પક્ષને સંગઠિત કર્યો છે, તેના નાનામાં કાર્યકરને શક્તિશાળી બનાવ્યો છે. ટોચથી લઈ બુથલેવલ સુધીની કામગીરીમાં સફળ રહ્યા છો. બસ આવી જ રીતે હવે તમારા જ પક્ષના એક નેતાજીને ઈમાનદારી-શિષ્ટાચારના પાઠ ભણવવામાં સફળ થાજો. ભાજપી ભ્રષ્ટાચારી નેતાજી પર સરકાર સાથે પક્ષમાંથી પણ આંકરા પગલાં ભરી ફરી એકવાર સાબિત કરવાનું છે કે, સી. આર. પાટિલભાઉ સો ટચ સોના જેવા પ્રામાણિક છે. નિષ્કલંક અને નિષ્ઠાવાન નેતા કૈસા હો તો પાટિલજી જૈસા હો એવું કહેવાવું જોઈએ.
ગુજરાતના રાજકરણનું એપીસેન્ટર અને ભાજપનો ગઢ ગણાતા રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં એક ભાજપી નેતાજીનો રીતસર ત્રાસ છે, જે લોકોએ ચૂંટીને તેમને નેતાજી બનાવેલા છે એ જ લોકો આ નેતાજીથી ત્રાહિમામ પોકારી ફફડી રહ્યા છે. એ વિવાદાસ્પદ નેતાજીથી આપ પણ પરિચિત છો જ.
આ નેતાજી દબંગ અને દગાબાજ તરીકેની છાપ ધરાવે છે. જ્યારે કોરોનાકાળમાં આપ જરૂરિયાતમંદોની લખલૂંટ સેવા કરી હતી ત્યારે આપના જ પક્ષના આ નેતાજીએ પાન-માવાની દુકાનો લૂંટી હતી. એટલું જ નહીં, મહામારીના સમયમાં માસ્ક વગર રાહત રસોડામાં પહોચી ફાકી ખાઈ પિચકારીઓ પણ મારેલી. અને હા, આ બધું આજકાલનું નથી. નેતાજી કોર્પોરેટર હતા ત્યારથી આવા જ અપલખણ ઝળકાવતા આવ્યા છે. જ્ઞાતિવાદના જોરે પદ મેળવી પેધી ગયેલા આ અળવીતરા નેતાજીની ઓડિયો-વિડીયો ક્લિપ પણ છાશવારે મીડિયામાં આવતી રહે છે. ભાજપને બદનામ કરવામાં આ બદમિજાજ બદદિમાગ નેતાજીએ કશું જ બાકી રાખ્યું ન હોય તેમ હાલમાં આ નેતાજીનું એક જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. રાજકોટ કલેક્ટરમાંથી નેતાજીના કૌભાંડ સંલગ્ન તમને બધી જ વિગતો મળી જશે.
પાટિલજી.. તમે રાજકારણના મહારથી છો, આપ જાણતા હશો કે, નાનુંમોટું કાળુંધોળું તો રાજકારણી સિવાય પણ દરેક માણસ કરતો જ હોય છે પણ આ નેતાજીએ તો અધધધ 300 કરોડનું જમીન કૌભાંડ આચરી કાળાધોળાની હદ વટાવી દીધી છે. નરેન્દ્રભાઈ મોદી અને સી.આર. પાટિલ જે પ્રદેશ સાથે સંકળાયેલા હોય ત્યાં ભાજપનો કોઈ કાર્યકર કૌભાંડનું વિચારી ન શકે, ભાજપનો કોઈ નેતા ભ્રષ્ટાચાર કરી ન શકે એ માન્યતાને આ માથાભારે મહાશયે ખોટી પાડી રાજકોટના ગોંડલરોડ પર 300 કરોડનું જમીન કૌભાંડ કરી નાખ્યું છે. રાજકોટ ભાજપના જૂના જોગીઓને પણ પાછળ છોડી અને કોંગ્રેસના કૌભાંડીઓને પણ શરમાવે એવું રાજકોટ સામાકાંઠાના નેતાજીએ ગોંડલરોડ પર આચરેલું જમીન કૌભાંડ તમારા ધ્યાન પર ન હોય તો લેશો અને એ અંગે ઘટતું કરશો એવી અરજ છે.
સી.આર. પાટિલજી.. ભાજપ પ્રદેશાધ્યક્ષ તરીકે તમારી નિમણૂંક બાદ ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપની ભવ્ય જીત થાય અને 182એ 182 બેઠક પર ભાજપ જીત મેળવે એ માટે અત્યારથી જ રાજકોટ સામાકાંઠાના ભાજપી ભૂમાફિયા તરીકે પંકાઈ ગયેલા આ કૌભાંડી નેતાજી પર લગામ કસશો એવી આશા છે, ગુજરાતના રાજકરણમાં કોંગ્રેસની જેમ ભાજપની પણ છબી ખરડાઈ નહીં એ જોવાની જવાબદારી પ્રદેશ પ્રમુખ તરીકે આપશ્રીની રહે છે. ખુદ ભાજપના પણ કાર્યકરો, આગેવાનો, નેતાઓને આપશ્રી પાસેથી એવી આકાંક્ષા છે કે, સી. આર. પાટિલ કમળમાં રહેલા કૌભાંડીઓ સમા કાંટાઓ દૂર કરશે..
જય જય ગરવી ગુજરાત સાથે જયહિંદ.. જય ભારત…
લિ. ‘ખાસ-ખબર’



