ગોંડલ ચોકડી નજીક પ્રેમવતી રેસ્ટોરન્ટમાં શરતભંગનો રિપોર્ટ
જમીન ઔદ્યોગિક હેતુ માટે ફાળવવામાં આવી હતી, પરંતુ બીએપીએસ સંસ્થા દ્વારા હેતુફેર કર્યા વિના આ જગ્યા પર પ્રેમવતી રેસ્ટોરન્ટ ગાર્ડન ખડકી દીધું !
- Advertisement -
આ પ્રકરણમાં આગળની કાર્યવાહીના કલેકટર તરફથી આદેશ મળશે ત્યારબાદ કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગોંડલ ચોકડી નજીક પ્રેમવતી રેસ્ટોરન્ટમાં શરતભંગ થતી હોવાનો રિપોર્ટ પ્રાંત અધિકારીએ કલેકટરને સોંપ્યો છે. બીએપીએસ સંસ્થા દ્વારા હેતુફેર કર્યા વિના પ્રેમવતી રેસ્ટોરન્ટ ગાર્ડન બનાવી દીધાનું તપાસમાં ખુલ્યું હતું. હવે આ પ્રકરણમાં આગળની કાર્યવાહીના આદેશ કલેકટર તરફથી મળશે ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કલેકટર તંત્ર દ્વારા વર્ષો પૂર્વે ઔદ્યોગિક હેતુ માટે સરવે નંબર 38 પૈકી 1ની 10 હજાર ચોરસ મીટર જમીન ઔદ્યોગિક હેતુ માટે ફાળવવામાં આવી હતી, પરંતુ આ જમીન પર બીએપીએસ સંસ્થા દ્વારા હેતુફેર કર્યા વિના આ જગ્યા પર પ્રેમવતી રેસ્ટોરન્ટ ગાર્ડન ઊભું કરી દીધાનું મામલતદારની તપાસમાં ખુલ્યું હતું. આમ તાલુકા મામલતદારની તપાસમાં આ પ્રકરણમાં શરતભંગ થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ ફરી વખત શરતભંગના આ પ્રકરણમાં પૂર્તતા કરતો રિપોર્ટ તાલુકા મામલતદારે પ્રાંત અધિકારીને સોંપ્યો છે. તાલુકા મામલતદાર તરફથી મળેલ રિપોર્ટને રિવ્યુ કરીને પ્રાંત અધિકારીએ કલેકટરને સોંપી દીધો છે ત્યાર હવે આ પ્રકરણમાં કલેકટર શું કાર્યવાહી કરે છે તે તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે.