દુષ્કર્મના કેસમાં જોધપુરની જેલમાં બંધ આસારામને થોડી રાહત મળી છે. એક કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે તેને જામીન આપ્યા છે. જોકે, દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા થઈ હોવાને કારણે તેને જેલમાંથી છોડવામાં આવશે નહીં.
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ વતી ખોટા દસ્તાવેજો રજૂ કરવાના કેસમાં આરોપીને આ જામીન આપવામાં આવ્યા છે. જોકે, આસારામને અન્ય કેસમાં સજા મળી હોવાને કારણે હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. હાઈકોર્ટના જસ્ટિસ કુલદીપ માથુરની કોર્ટમાંથી આ જામીન મળ્યા છે. એડવોકેટ નીલકમલ બોહરા અને ગોકુલેશ બોહરાએ કોર્ટમાં આસારામનો પક્ષ રજૂ કર્યો હતો.
- Advertisement -
પિતા-પુત્રની સંભળાવવામાં આવી છે આજીવન કેદની સજા
આસારામને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. ગાંધીનગરની સેશન્સ કોર્ટે આ વર્ષે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામ વિરુદ્ધ વર્ષ 2013માં દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, પીડિતા પર દુષ્કર્મની ઘટના 2001થી 2006 વચ્ચે બની હતી. પીડિતાની બહેને પણ આસારામના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં નારાયણ સાંઈને એપ્રિલ 2019માં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.
2013માં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ
આસારામને જે કેસમાં સજા સંભળાવવામાં આવી છે, તેની એફઆઈઆર 2013માં અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. એફઆઈઆર મુજબ, પીડિત મહિલા પર 2001થી 2006 દરમિયાન અમદાવાદ શહેરની બહાર આવેલા એક આશ્રમમાં ઘણી વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આસારામ અને અન્ય 7 સામે નોંધાઈ હતી ફરિયાદ
પીડિત મહિલાએ આ મામલામાં આસારામ અને અન્ય સાત લોકો સામે દુષ્કર્મ અને ગેરકાયદેસર કેદ કરવા મામલે કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં આસારામ સિવાય તેની પત્ની લક્ષ્મી અને પુત્રી ભારતીને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.
- Advertisement -
આસારામને દોષિત ગણી સંભાળવવામાં આવી હતી સજા
જોકે, સેશન્સ કોર્ટના જજ ડીકે સોનીએ આ કેસમાં માત્ર આસારામને જ દોષિત ગણીને સજા સંભળાવી છે. બાકીના 6 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ટ્રાયલ દરમિયાન જ એક આરોપીનું ઓક્ટોબર 2013માં મૃત્યુ થયું હતું.