અપૂર્વ મહેતા- જયદીપ કુકડીયાની દલીલો માન્ય રાખતી ગુજરાત હાઈકોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશભરમાં ચર્ચાસ્પદ બનેલ જીએસટીના કરોડોના કૌભાંડમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મનીષ જોબનપુત્રા, પાર્થ રોજીવાડીયા, ભેરુસિંહ રાજપુત અને અલ્પેશ હિરપરાની ધરપકડ થયા બાદ આરોપી વેપારીઓ દ્વારા જામીન ઉપર મુક્ત થવા માટે કરેલી અરજીની સુનવણી થતાં ઉક્ત વેપારીઓને જામીન ઉપર મુક્ત કરતો હુકમ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં ફરમાવવામાં આવેલ છે.
સેન્ટ્રલ જીએસટી વિભાગ, રાજકોટમાં ફરજ બજાવતા અધિકારી જયપ્રકાશ સિંઘ દ્વારા ડી.સી.બી. પોલીસ સ્ટેશન, રાજકોટને ફરિયાદ આપવામાં આવેલ કે તા. 1-6-2023થી તા. 30-9-2023 દરમ્યાન કોઈ વ્યક્તિ દ્વારા પરમાર એન્ટરપ્રાઇઝના નામથી બનાવટી ભાડા કરાર બનાવી ભાડા કરાર ખોટો હોવાનું જાણવા છતાં એ ભાડા કરારને ખરા તરીકે સેન્ટ્રલ જીએસટી ઓફિસ, રાજકોટ ખાતે જીએસટી વિભાગમાં ઓનલાઈન રજૂ કરી પરમાર એન્ટરપ્રાઇઝના નામે જીએસટી રજીસ્ટ્રેશન મેળવી બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે અન્ય 14 કંપનીના સંચાલકો સાથે મળી ગુનાહિત કાવતરૂ રચી બનાવટી બિલિંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી રજૂઆતો દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી ખૂબ જ મોટી રકમનું સરકારને આર્થિક નુકસાન પહોંચાડેલ છે.
- Advertisement -
ઉપરોક્ત ફરિયાદના આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશન, રાજકોટે ગુન્હો નોંધી પરમાર એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલકો તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનાર વેપારીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ તેમજ રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા ઉક્ત વેપારી આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જામીન ઉપર મુક્ત થવા ઉક્ત આરોપી વેપારીઓ દ્વારા પોતાના વકીલ અપૂર્વ એન. મહેતા મારફત ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ. ઉપરોક્ત જામીન અરજી ચાલવા ઉપર આવતા વેપારીના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે આરોપી વેપારીઓ સામે આઈ.પી.સી.ની કોઈપણ કલમ હેઠળ ગુન્હો બનતો નથી જે હકીકત ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરના સોગંદનામાંથી સ્પષ્ટ થાય છે. અરજદારો સામે વધુમાં વધુ જીએસટી કાયદાની કલમ 132(1)(સી) હેઠળ ખોટી વેરાશાખ ભોગવવાનો ગુન્હો બને છે, જે વેરાશાખની રકમ પ્રસ્તુત કેસમાં રૂપિયા પાંચ કરોડથી ઓછી હોય તે જીએસટી કાયદા મુજબ જામીનલાયક ગુન્હો છે. વધુમાં કામના આરોપી વેપારીઓ જેન્યુઇન બિઝનેસમેન તથા ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર હોય, હાલના ગુન્હામાં તેઓ ખુદ ભોગ બનનાર હોવા છતાં ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે. ઉપરોક્ત બંને પક્ષોની દલીલોના અંતે બચાવ પક્ષની દલીલોને માન્ય રાખીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજદાર વેપારીઓને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ તાજેતરમાં ફરમાવવામાં આવેલ છે. ઉપરોક્ત કેસમાં આરોપી વેપારીઓ વતી ગુજરાત હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા તથા જયદીપ એમ. કુકડીયા રોકાયેલા હતા.