હિન્દુ સંગઠનો, સંત સમિતિ અને ભાજપનું વિરોધપ્રદર્શન, માનવસાંકળ રચી ચિન્મયદાસ મહારાજને મુક્ત કરાવવાની માગ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
બાંગ્લાદેશમાં હિન્દુઓ થતા અત્યાચાર મામલે છેલ્લા ઘણા સમયથી ભારતમાં વિરોધપ્રદર્શન અને આંદોલનો થઈ રહ્યાં છે. આજે (10 ડિસેમ્બર) અમદાવાદ શહેરમાં હિન્દુ હિતરક્ષક સમિતિ, ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે મળીને વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવસાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના 8.30થી 9.15 સુધી વલ્લભ સદનથી ઉસ્માનપૂરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવસાંકળ રચાઈ હતી. અહીં ખાસ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરનાં વિવિધ બોર્ડમાંથી ઓછામાં ઓછા 150 લોકો સહિત ભારતીય જનતા પાર્ટીના સંત સમિતિના સભ્યો પણ વહેલી સવારથી જ રિવરફ્રન્ટ ખાતે હાજર રહ્યા છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં અત્યાચાર બંધ કરો, બંધ કરો સહિત વિવિધ નારા લગાવવામાં આવી રહ્યા છે. આજની માનવસાંકળમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના બોર્ડ પ્રમુખ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા છે. હાથમાં વિવિધ બેનરો લઈ હિન્દુ પર થતા અત્યાચાર બંધ કરવા નારા પોકારી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે ચિન્મયદાસજી મહારાજને મુક્ત કરવા માટે પણ નારા લગાવ્યા હતા.ભાડજ હરે ક્રિષ્ના મંદિરના શ્યામચરણ દાસજીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે આજે આપણે એક અગત્યની બેઠક માટે એકત્ર થયા છીએ. અમુક મહિનાથી નહીં, પણ ઘણાં વર્ષોથી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થઇ રહ્યા છે. ઘણાં વર્ષોથી મૂર્તિઓ ખંડિત કરવામાં આવે છે. પૂજારીઓની હત્યા કરવામાં આવી રહી છે. ઇસ્કોનના બધા સમર્થકોમાં આક્રોશ છે. કોઈપણ દેશમાં પોતાના ધર્મનું પાલન કરવામાં આવે એની સ્વતંત્રતા આપવી જોઈએ અને તેનો ભંગ કરનારાઓ સામે કઠોરમાં કઠોર પગલાં લેવાવા જોઈએ.
બાંગ્લાદેશમાં હિન્દુ સમાજની સ્થિતિ આપણા માટે શરમજનક: દિલીપદાસજી
આ અંગે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજની સ્થિતિ છે એ આપણા માટે શરમજનક છે. મૂર્તિઓ ખંડિત થઈ રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી બાંગ્લાદેશમાં શાંતિ સ્થપાય એવી માગણી છે. આ સાથે જે સ્વામીને કેદ કરવામાં આવ્યા છે તેમને ઝડપથી મુક્ત કરવામાં આવે. આપણે સૌ હિન્દુ સાથે છીએ અને હંમેશાં સાથે રહીશું.