રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરની રજૂઆતને ધ્યાને રાખીને રૂા. 294.29 લાખની આપી મંજૂરી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારના નર્મદા, જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના ગામો માટે 8 પુર સંરક્ષણ દીવાલ બનાવવા રૂા. 294.29 લાખની રકમને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્યો તથા આગેવાનો તરફથી પોતાના વિસ્તારના ગામોમાંથી આવેલ રજૂઆતના પગલે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદેરે ગુજરાતના મુખ્યમંત્રી અને જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલને તથા રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીની આગેવાનીમાં પુર સંરક્ષણ દીવાલ બનાવવા માટેની રજુઆત કરવામાં આવી હતી, જેને ધ્યાને રાખીને ગુજરાત સરકારે રાજકોટ જિલ્લાના વિવિધ ગામો માટે 8 પુર સંરક્ષણ દીવાલને મંજૂરી આપી છે, જેમાં રાજકોટ તાલુકા ગઢકા ગામ માટે રૂા. 34.44 લાખ, બેડલા ગામ માટે રૂા. 49.55 લાખ, ગોંડલ તાલુકાના ધૂડસીયા ગામ માટે રૂા. 45.42 લાખ, રાણસીકી ગામ માટે રૂા. 73.91 લાખ, આંબરડી ગામ માટે રૂા. 46.19 લાખ, ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામ માટે રૂા. 30.08 લાખ અને જસદણ તાલુકાના દેવપરા ગામ માટે રૂા. 14.70 લાખની રકમ મંજુર કરવામાં આવી છે. આ ગામોમાં પુર સંરક્ષણ દિવાલ બનવાથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ગામમાં ઘુસી જવાની તથા જમીન ધોવાણની નુકશાનકારક સ્થિતિ સર્જાય છે તેમાંથી ગ્રામજનોને રાહત મળશે.