સુપ્રીમ કોર્ટે 18 સપ્ટેમ્બર સુધીમાં હાજર થવાનો આદેશ કર્યો હતો:
જૂનાગઢ જેલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: પોપટ સોરઠિયા હત્યાકેસમાં હાજર થશે, અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં થઈ શકે ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા આજે (18 સપ્ટેમ્બર) જૂનાગઢ જેલમાં ગમે તે ઘડીએ પોપટ સોરઠિયા હત્યાકેસમાં સરેન્ડર કરશે. આ સમયે અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે. હાલમાં જેલની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હાઇકોર્ટના 18 સપ્ટેમ્બર પહેલાં સરેન્ડર કરવાના ચુકાદાને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ કર્યો હતો, જેમાં સરેન્ડર કર્યા પછી સજા માફી અંગે નિર્ણય કરવામાં આવશે.
અનિરુદ્ધસિંહ જાડેજાએ ગત 29 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સ્પે. લીવ પિટિશન (ક્રિમિનલ) રજૂ કરી હતી, જે બીજા દિવસે એટલે કે 30 ઓગસ્ટે દાખલ થઈ હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જની બેચ સમક્ષ આ લીવ પિટિશનની સુનાવણી થઈ હતી.
22 ઓગસ્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યાકેસમાં ચાર અઠવાડિયાંમાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. પોપટ સોરઠિયા હત્યાકેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધીક્ષક ટી.એસ. બિસ્તના હુકમને ફગાવી અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો હતો. અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ શોધી રહી છે. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની 19 ઓગસ્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ પહેલાં કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે.
ઉલ્લેખન્ીય છે કે, 15 ઓગસ્ટ 1988ના દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
2018માં તત્કાલીન જેલ આઇજી બિષ્ટે સજા માફી આપી
1988ના પોપટ લાખા સોરઠિયા હત્યાકેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે 1994માં અનિરુદ્ધસિંહને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો હતો. ત્યાર બાદ સરકારે ઝઅઉઅ એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 1997ના રોજ અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારી હતી, જોકે ત્યાર બાદ 3 વર્ષે પોલીસ તેને પકડી શકી એટલે કે 2000માં જેલમાં મોકલી દીધો. અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ 29 જાન્યુઆરી 2018ના રોજ તત્કાલીન જેલ આઈજી ટી.એસ બિષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. એ સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી. આમ, અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજામાફી આપીને મુક્ત કરવામાં આવ્યો હતો. અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજામાફીને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી.



