ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ આવતીકાલે સોમનાથમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ઝાઝો સમય નથી રહ્યો. કારણ કે ચૂંટણી પંચ ગમે ત્યારે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. એવામાં તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવા બેઠકો યોજી રહ્યાં છે. ત્યારે આવતીકાલે સોમનાથના સાનિધ્યમાં ભાજપની ચૂંટણીલક્ષી બેઠક યોજાવા જઇ રહી છે. જેમાં ભાજપનું ચૂંટણીલક્ષી મંથન ચાલશે.
- Advertisement -
અમિત શાહની ઉપસ્થિતિમાં આવતીકાલે બેઠક યોજાશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આવતીકાલે સોમનાથ ખાતે મહત્વની બેઠક યોજાશે. CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.
સોમનાથ કાજલી માર્કેટયાર્ડમાં સૌરાષ્ટ્ર ઝોનની આ બેઠક મળશે. જેમાં ઉમેદવારોના નામ અને વિજયની રણનીતિ નક્કી કરાશે. તમને જણાવી દઇએ કે, ગત ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાં મોટું નુકસાન થયું હતું.
- Advertisement -
2017માં કરેલી ભૂલ હવે ભાજપ નથી કરવા માંગતું
તમને જણાવી દઇએ કે, ભાજપ આ વર્ષે 2017માં સૌરાષ્ટ્રમાં કરેલી ભૂલ નથી કરવા માંગતું. કારણ કે 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફાયદો થયો હતો. ભાજપ કરતા કોંગ્રેસના ફાળે વધારે સીટો આવી હતી. 2017માં ભાજપને ફાળે 23 જ્યારે કોંગ્રેસના ફાળે 30 સીટો આવી હતી જ્યારે અન્યને ફાળે 1 સીટ આવી હતી. આથી ભાજપ આ વર્ષે ફરી એવી ભૂલ કરવા નથી ઇચ્છતું.
વધુમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે ત્યારે ચૂંટણી પંચ ગમે ત્યારે જાહેરાત કરી શકે છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષ અત્યારે પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યાં છે. ત્રણેય પક્ષો બેઠકોથી લઈને જાહેરસભા અને રોડ શૉ સહિતની કામગીરી કરી રહ્યાં છે. એવામાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે અને અહીં ભાજપ સતત જીતતી આવી છે ત્યારે આ વખતે ચૂંટણીમાં વિજય મેળવવા માટે શું સ્ટ્રેટેજી અપનાવે છે તે મહત્વનું રહેશે. ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, ટિકિટ વહેંચણી મુદ્દે આ વખતે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે કે ભાજપ આ વખતે 25 ટકા ‘નો રિપીટ થિયરી’ અપનાવશે.
‘નો-રિપીટ થિયરી’થી ભાજપને ફાયદો શું?
ભાજપની રણનીતિ પર સૌ કોઈની નજર હોય છે જે બાબતે આ વખતે ગુજરાત વિધાસભાની ચૂંટણીમાં ભાજપ પ્રાપ્ત માહિતી અનુસાર 25 જેટલા ચાલુ ધારાસભ્યોને ટિકિટ નહી આપે અને જેનાથી તેમને લાભ પણ થશે કે કેમ તે સમય જ બતાવશે. એવુ પણ માનવામાં આવી રહી છે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ વધારશે અને જેમાં કેટલાક નવા ચહેરાઓને પણ મેદાનમાં ઉતારશે.