ધુમાડા અને અવાજના પ્રદુષણ વગરની બસમાં મુસાફરોને મળશે તદ્દન નવો આહલાદક અનુભવ
રાજકોટ એસટી ડિવિઝનના સૌથી નફાકારક બસ રૂટમાંના એક એવા રાજકોટ-જામનગર રૂટ ઉપર આગામી દિવસોમાં એરકન્ડિશન ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે. સંભવત: આગામી ડિસેમ્બર માસના અંતથી અથવા તો જાન્યુઆરી માસના પ્રારંભથી આ સેવા શરૂ થશે તેમ રાજકોટ એસટી ડિવિઝનના સુત્રોમાંથી જાણવા મળે છે.
- Advertisement -
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના બસ કાફલામાં ટુંક સમયમાં વધુ ઇલેક્ટ્રિક બસનો ઉમેરો થશે. ગ્રીન એનર્જીના ભાગ રૂપે ફેમ ટુ ઇન્ડિયા થીમ હેઠળ ઇ-બસો બસ ઉમેરાશે. ઓલેકટ્રા ગ્રીન્ટેક કંપનીને નિગમ દ્વારા ઇલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. કંપની કરારના સમયગાળા દરમિયાન આ બસોની જાળવણી પણ કરશે.
જેમાં નિગમ કંપનીને અમદાવાદ ખાતે કૃષ્ણનગર અને રાજકોટ સહિતના સ્થળે જગ્યા આપશે.જે જગ્યા પર બસ રખાશે ત્યાં જ ચાર્જિંગ સ્ટેશન પણ બનાવાશે. આ બસ સામે નિગમ કંપનીને કિલોમીટર દીઠ 60 રૂપિયા ઉપર ભાડું ચૂકવશે. જોકે આ ઇલેક્ટ્રિક બસની ખરીદી પર કેન્દ્ર સરકારમાંથી નિગમને સબસીડી પણ મળશે. ઇ-બસના સંભવિત રૂટની મળતી માહિતી પ્રમાણે ત્રણ મહિના બાદ આ ઇલેક્ટ્રિક બસ નિગમને મળશે ત્યારબાદ 20 બસ અમદાવાદ-ગાંધીનગર, 20 બસ અમદાવાદ-વડોદરા અને 10 બસ રાજકોટ-જામનગર રૂટ ઉપર દોડાવવામાં આવશે તેવો હાલ નિર્ણય કરાયો છે. ધુમાડા અને અવાજના પ્રદુષણ વગરની વાતાનુકૂલિત બસમાં બેસીને મુસાફરો એક તદ્દન નવો જ આહલાદક અનુભવ કરશે તે નક્કી છે.