ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા પંથકમાં બે દિવસ પહેલા ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે અનેક ગામોની નદીઓમાં ચોમાસાના પ્રથમ વરસાદની ઘોડાપૂર આવ્યું હતું. તેમજ અનેક ગામોમાં પાણી ઘુસી ગયા હતાં. અને રાજુલા પંથકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે રાજુલા તાલુકાના રાજપરડા- ગાજાવદર ગામ વરચે જોલાપરી નદી આવેલી છે. આ જોલાપરી નદીમાં ધોધમાર વરસાદને પગલે પૂર આવ્યું હતું. ગઇકાલે નદીના ધસમસતા પ્રવાહમાં એક ફોરવ્હીલ કાર ડૂબી જવાની ઘટના બની હતી. નદીમાં પૂર આવતાં મોટો ભુવો પડતા કાર ડૂબી ગઇ હતી. આ કાર ડૂબી જતા રાજુલાના આહીર સમાજના અગ્રણી ગાજાવદર ગામના ભગવાનભાઇ લાખાભાઇ વાઘનું મોત નિપજ્યું હતું. આ ઘટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. અને ભગવાનભાઇ ની લાશને બહાર કાઢી ત્યારબાદ પીએમ અર્થે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સાથે રાજુલા મામલતદાર અને ટીડીઓની ટીમ ધટના સ્થળે પહોંચી હતી. અને જેસીબી તેમજ સ્થાનિકોની મદદથી નદીમાંથી ભારે જહેમત બાદ ફોરવ્હીલ બહાર કાઢવામાં આવી હતી. તેમજ ગ્રામજનો તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. અને તંત્ર દ્વારા સમયસર મદદ ન પહોંચાડી હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજુલાના આહીર સમાજના અગ્રણીનું કરૂણ મોત થતાં આહીર સમાજના શોકનું મોજું ફરી વળ્યું હતું.