સરકારી હૉસ્પિટલમાં જ સુવિધાઓ અને સ્પેશ્યાલિસ્ટ તબીબનો અભાવ, ખાનગીમાં જવું પડે છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં દર્દીઓનો સતત ધસારો રહેતો હોય ઘણી વખત ડોક્ટર ગેરહાજર રહે તેવા સંજોગોમાં દર્દીઓ લાંબો સમય લાઇનમાં ઉભા રહ્યાં બાદ તેમને જાણ થાય છે કે જે તે વિભાગના ડોકટર હાજર નથી આથી દર્દીઓએ સારવાર વગર પરત ફરવું પડે છે. અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બનવું પડે છે. જો આવા સંજોગો વચ્ચે અગાઉથી ડોક્ટર હાજર નથી તેવી જાણ થાય તે માટે નોટિસ બોર્ડ પર માહિતી મુંકવામાં આવે તે જરૂરી બને છે. આવી જે એક ઘટના મંગળવારના રોજ બની હતી. જેમાં મંગળવારના રોજ એક મહિલા દર્દી તેની આંખની સારવાર લેવા સરકારી હોસ્પિટલ પહોંચ્યાં હતાં. આ મહિલા લાંબી લાઇનમાં ઉભા રહ્યાં બાદ તેને કોઈએ કહ્યું કે આંખના ડોક્ટર હાજર નથી એટલે આ મહિલાને સારવાર લીધા વગર ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો. આ ઘટનાને નજરે જોનાર વિજયભાઈ ગરેજા નામના જાગૃત નાગરિકે મહિલાની મદદ કરવા પ્રયત્ન કર્યો હતાં જેમાં મહિલા સરકારી હોસ્પિટલના કેસ કાઉન્ટર પર હાજર કર્મચારીને ડોક્ટર અંગે પુછતાં યોગ્ય પ્રત્યુતર મળ્યો ન હતો. આથી જાગૃત નાગરિકે હેલ્થ ઓફિસરને પત્ર લખી જે તે વિભાગના ડોક્ટર હાજર ન હોય તેવા સંજોગોમાં દર્દીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેથી નોટીસ બોર્ડ પર તેની વિગતો લખવામાં આવે તેવી માંગ કરી છે. ઉપરાંત હોસ્પિટલ કર્મચારીઓ માણસાઇને શોભે તેવું વર્તન કરે તો દર્દીઓ હાલાકી ભોગવવી ન પડે આ રજૂઆત પરત્વે ધ્યાન આપવા માંગ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે જયારથી કેશોદ સરકારી હોસ્પિટલની શરૂઆત થઈ ત્યારથી આ હોસ્પિટલમાં સ્પેશ્યાલિસ્ટની જગ્યાઓ જગ્યાઓ ખાલી પડી છે. આ માટે આરોગ્ય વિભાગની નિતી રિતીમાં ફેરફાર જરૂરી બન્યો છે. હાલ આ સરકારી હોસ્પિટલમાં અકસ્માતની નાની મોટી ઘટનામાં દર્દીને ઇમરજન્સી સારવાર મળતી ન હોય જુનાગઢ રિફર કરાય છે.
- Advertisement -
સરકારી હોસ્પિટલ આસપાસ ઘોંઘાટ, રોડ સાંકડા હોય ટ્રાફિક સમસ્યા, વાહન પાર્કિંગ જગ્યાનો અભાવ, અન્ડરબ્રિજના કારણે વાહનનો માર્ગ બદલવાથી વાહનનો ધસારો જેવી સમસ્યાને ધ્યાને રાખી સામાજીક- રાજકિય સંસ્થાઓ સાયલન્ટ ઝોન, નોન વોકિંગ ઝોન જાહેર કરવા માંગ કરતાં હતાં આ બાબતે પ્રાંત કચેરીએ ક્લેક્ટર કચેરીને રિપોર્ટ મોકલી આપ્યો હતો. પરંતુ કાર્યવાહી ન થતાં આ માંગ અભેરાઇએ ચડાવી દેવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
હોસ્પિટલ લોકાર્પણ બાદ આરોગ્ય વિભાગ સતર્ક હોય તેવું માની દર્દીઓ માટે સામાજીક/ વેપારી સંસ્થાઓ ઇમરજન્સી સારવારમાં જોઈતી સાધન સામગ્રીની સુવિધા અને સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની માંગ કરી રહ્યાં હતાં પરંતુ આરોગ્ય વિભાગે આ બાબતી ગંભીર નોંધ ન લેતાં છેલ્લાં 1 વર્ષથી આ સંસ્થાઓએ રજૂઆતો કરવાનું ટાળી દીધું છે.