પ્રથમ વખત મહાશિવરાત્રી મેળો કંઇક અલગ આયોજન સાથે યોજાશે
ચછ કોડ પાર્કિંગ, એલઇડી લાઈટ, મેળાનું જીવંત પ્રસારણ, રવાડી રૂટ લંબાવ્યો
- Advertisement -
વહીવટી તંત્રની અનેક વિભાગની કેટલી કાર પ્રવેશ કરશે તે હજુ અવઢવ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ ભવનાથ તળેટીમાં યોજાતો મહા શિવરાત્રી મેળાને કંઈક અલગ અંદાજ સાથે હાઈટેક બનાવવા વહીવટી તંત્ર છેલ્લા એક મહિનાથી કમર કસી છે. જેમાં 20 જેટલી સમિતિ બનાવીને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્યૂઆર કોડથી પાર્કિંગ વ્યવસ્થા, એલઇડી લાઈટથી મેળો ઝળહળિત કરાશે તેમજ મેળાનું જીવંત પ્રસારણ સાથે રવાડી રૂટ લંબાવામાં આવ્યો છે. બીજી તરફ મેળાની શરૂઆતથી પાંચ દિવસ વાહનો પ્રવેશ ન કરવા અનેક જગ્યાએ પાર્કિંગ બનવાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. તો બીજી તરફ વહીવટી તંત્રના અનેક વિભાગો છે જેમાં કલેકટર કચેરી, મહાનગર પાલિકા, પીજીવીસીએલ, વન વિભાગ, પાણી પુરવઠા કચેરી સહીતની કચેરીઓ સામેલ છે તેની કેટલી કાર મેળામાં જશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી તેમજ કેટલા પાસ ઇસ્યુ કરવાના છે. તેના પર નજર છે. જયારે બીજી તરફ દેશ ભરના અગ્રણી સંતો – મહંતો પધારે છે એવા સમયે કેટલાને મંજૂરી મળે છે તેન જોવાનું રહ્યું. મહાશિવરાત્રી મેળા સંદર્ભે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ વિવિધ સમિતિઓના અધ્યક્ષ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેક્ટરએ મેળાના આયોજન માટે રચાયેલી વિવિધ 20 જેટલી સમિતિઓના અધ્યક્ષો સાથે અત્યાર સુધી થયેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ભવનાથ તળેટી વિસ્તારમાં પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો તા. 11 ફેબુ્આરીના રોજ શુભારંભ થશે. આધ્યાત્મિક અને પૌરાણિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ માટેની તૈયારીઓ વહીવટી તંત્ર દ્રારા આરંભી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર એ મેળામાં આવતા ભાવિકો માટે પીવાના પાણી, આરોગ્ય, પરિવહન સેવા, સફાઈ, પુરવઠો સંદર્ભે અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતુ. સાથે જ સંતોની નગર પ્રવેશયાત્રા, મહાઆરતી, ધર્મ સભા, રવેડી, મુગીકુંડમાં યોજાતા શાહી સ્નાન, સાંસ્કૃતિક કાર્યક્રમ, મેળા અંગેના સાઈન બોર્ડ, લાઇટિંગ, સુશોભન સહિતની વ્યવસ્થાઓ બાબતે પણ જરૂરી નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી.એસ. બારડ, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
શિવરાત્રી મેળો વીવીઆઈપી કલ્ચર વચ્ચે ગરીબોની રોજીરોટી ન છીનવાય તે જો જો
જૂનાગઢનો સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળો નજીક આવી રહ્યો છે ત્યારે સામાજિક અગ્રણી અમૃતભાઈ દેસાઈએ તંત્રને નાના ફેરિયાઓ અને ગરીબ ધંધાર્થીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગિરનારની તળેટીમાં યોજાતો આ મેળો માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ નાના રિક્ષાચાલકો, શાકભાજી-ફળ વિક્રેતાઓ અને કરિયાણાના વેપારીઓ માટે આખા વર્ષની કમાણીનો મુખ્ય સ્ત્રોત છે. વધુમાં કહ્યું હતું કે, અગાઉ પરિક્રમા મેળો રદ થવાને કારણે અનેક ગરીબ પરિવારોના ઘરના ચૂલા સળગવા મુશ્કેલ બન્યા છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ જવાથી બાળકોના ભણતર પર પણ માઠી અસર પડી છે. આવી સ્થિતિમાં શિવરાત્રી મેળાના ભવ્યાતિભવ્ય આયોજન વચ્ચે જો ગરીબ ફેરિયાઓને રંજાડવામાં આવશે, તો તેમની હાલત વધુ કફોડી બનશે. “મેળો ભલે ભવ્ય થાય, પણ તંત્ર ’વીવીઆઈપી કલ્ચર’ના અભરખામાં નાના ધંધાર્થીઓની રોજીરોટી ન ભૂલે. આ અલખ ગિરનારીની ભૂમિ છે, અહીં ગરીબના આંસુ ન પડવા જોઈએ.” તેમણે માંગ કરી છે કે તંત્ર દ્વારા મેળાના આયોજનમાં નાના ફેરિયાઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી તેઓ શાંતિથી પોતાનો વેપાર કરી શકે. વહીવટી તંત્ર માત્ર દેખાવ પાછળ ખર્ચ ન કરી વાસ્તવિકતા સમજી ગરીબ ધંધાર્થીઓ પ્રત્યે હમદર્દી રાખે તે અનિવાર્ય છે.



