ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદના દાણીલીમડામાં આવેલી જીન્સ બનાવતી કંપનીમાં દુર્ઘટના બની છે. કંપનીની કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા ત્રણ મજૂરોના મોત નીપજ્યાં છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસા, અમદાવાદના દાણીલીમડામાં ખોડિયારનગર આવેલું છે. જ્યાં જીન્સ બનાવતી કંપનીની કાપડ ધોવાની ટાંકીમાં ત્રણ મજૂર યુવકો સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર ઉતર્યા હતા. જેમનું મોત નીપજ્યું હતું. ગેસ ગળતરના કારણે મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ છે. બનાવ અંગે જાણ થતાં પોલીસ પહોંચી હતી. યુવકોને બેભાન અવસ્થામાં મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા છે. ત્રણેય યુવકોના મૃતદેહો આખી રાત ટાંકીમાં રહ્યાં હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.