આઈએસ સાથે જોડાયેલો હોવાના તથા ઝાકીર નાયક સાથે પણ તેના સંબંધો
લેપટોપ-મોબાઈલમાંથી અનેક પૂરાવા મળ્યા : જામનગરમાં કોને-કોને મળ્યો હતો તે અંગે તપાસ શરૂ : ગુજરાત એટીએસ પણ ઝુકાવે તેવા સંકેત
ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથના ગોરખપુર મઠ પર થયેલા હુમલામાં સંડોવાયેલ આઈઆઈટીનો પૂર્વ વિદ્યાર્થી અબ્બાસીના લેપટોપમાંથી સ્ફોટક માહિતી મળી છે અને આ હુમલાના તાર પ્રતિબંધિત ઇસ્લામીક પ્રચારક ઝાકીર નાયક સુધી પહોંચી ગયા છે. અનેસૌથી મહત્વનું તેના તાર જામનગર સુધી જોડાયેલા છે અને હુમલાખોર દેશમાં ફરતો હતો તે સમયે જામનગર પણ આવ્યો હોવાના પુરાવા મળતા જ ગુજરાત એટીએસને પણ આ અંગે જાણ કરવામાં આવી રહી છે અને તેના ગુજરાત કનેકશનની પણ તપાસ થશે.
આઈઆઈટીનો કેમિકલ એન્જીનીયરીંગનો વિદ્યાર્થી અમર મુર્તુઝા અબ્બાસી આઈએસ સંગઠન સાથે પણ જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. સુત્રોના જણાવ્યા મુજબ તેના લેપટોપમાંથી આઈએસ અને સીરિયાના વીડિયો જોવા મળ્યા હતા અને તેથી ગોરખપુર મંદિર પર હુમલો એ આતંકી ઘટના હોવાનું માની શકાય છે અને અબ્બાસીએ સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કર્યો તેનો હેતુ મંદિરમાં ઘુસવાનો હતો તે પણ સ્પષ્ટ થયું છે.ગોરખનાથ મંદિર એ નાથ સંપ્રદાયની સર્વોચ્ચ પીઠ છે ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદીત્યનાથનું નિવાસ પણ અહીં છે અને યોગી અવારનવાર અહીં આવે છે ત્યારે તેના પર હુમલો એ ગંભીરતાથી લેવાઇ રહ્યો છે.
- Advertisement -
હુમલાખોર મુર્તુઝાએ પ્રતિબંધીત કટ્ટરવાદી ઝાકીર નાયકને ફોલો કરતો હતો તે પણસ્પષ્ટ થયું છે તેના મોબાઈલમાંથી મુંબઈના નંબર નીકળ્યા છે અને તે ઝાકીરની આસપાસના લોકોના છે તે તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળતા જ ઉતરપ્રદેશ પોલીસની એક ટીમ મુંબઈ પણ પહોંચી છે.તપાસ અધિકારી નાગભૂષણ પાઠકના જણાવ્યા મુજબ અબ્બાસ કેટલાક દિવસો સુધી મુંબઈ ઉપરાંત જામનગર, કોઇમ્બતુર, નેપાળ, લુંબની પણ ગયો હતો. તેણે એટીએમમાંથી જે રીતે નાણાં કાઢયા હતા તેના આધારે આ માહિતી મેળવાઇ છે. તેની પાસે અનેક બેન્કોના એટીએમ કાર્ડ ઉપરાંત દિલ્હીથી મુંબઈની ટીકીટ પણ મળી છે અને કેટલુંક ઉર્દુ સાહિત્ય પણ મળ્યું છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે આ તપાસમાં ગુજરાત પોલીસ પણ જોડાઈ શકે છે. અબ્બાસીનું જામનગર કનેકશન શું છે તે અંગે તપાસ થઇ શકે છે અને આ વિસ્તારમાં તે કોને કોને મળ્યો હતો તે પણ તપાસની પ્રક્રિયા શરુ થશે. ગુજરાત એટીએસની એક ટીમ ઉતરપ્રદેશ જશે.