ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટમાં થતા ગરબીના આયોજનમાં આવતી ટીકીટ પર રાજ્ય સરકાર દ્વારા 18 ટકા જીએસટી લગાવવામાં આવતા રાજ્યમાં વિરોધનો વંટોળ શરુ થયો છે. ગરબીના પાસમાં જીએસટી લાગવાથી ટીકીટના દર વધશે જેના કારણે ખેલૈયામાં રોષની લાગણી છે તો બીજી તરફ ગરબા આયોજકો પણ મૂંઝવણમાં મુકાયા છે ત્યારે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા રાસ રમીને ગરબાના પાસ પર લગાવવામાં આવેલ જીએસટીનો વિરોધ કર્યો હતો.

ગરબાના પાસ પર લગાવવામાં આવેલ જીએસટીને પગલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન શરુ કરવામાં આવ્યું છે ત્યારે મોરબીમાં પણ રવાપર રોડ પર આવેલ બાપા સીતારામ ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આપના કાર્યકર્તાઓએ ગરબે ઘૂમીને વિરોધ કર્યો હતો અને રાજ્ય સરકાર દ્વારા હિન્દૂ ધર્મના દેવી દેવતાઓના નવરાત્રી પર્વ પરના સાંસ્કૃતિક કાર્યક્રમો પર 18% જીએસટી લગાવી લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને રાજ્ય સરકાર તાત્કાલીક જીએસટી પરત નહીં ખેંચે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.



