ઇતિહાસમાં બનેલી એક સમાન બે ઘટનાના પરિણામો સાવ જુદા હતાં
સિકંદરે જ્યારે પોરસને કેદ કર્યો, ત્યારે સિકંદરે પોરસને પૂછ્યું હતું, બોલ તારી સાથે કેવું વર્તન કરવામાં આવે ? પોરસે જવાબ આપ્યો હતો, એક રાજા બીજા રાજા સાથે જેવું વર્તન કરે, એવું વર્તન તમારે મારી સાથે કરવું જોઈએ. સિકંદરે પોરસને કેદમાંથી મુક્ત કર્યો અને એને પોતાના રાજ્યનો પ્રતિનિધિ બનાવ્યો.
- Advertisement -
મહમદ ઘોરીએ આવી જ રીતે પૃથ્વીરાજને કેદ કર્યાં અને એણે પણ પૃથ્વીરાજને આવો જ પ્રશ્ર્ન કર્યો, મારી પાસે તમારી શું અપેક્ષા છે ? પૃથ્વીરાજે જવાબ આપેલો, મેં તમને અનેક વખત જવા દીધા છે. તમારે પણ મારી સાથે સન્માનપૂર્વક વર્તવું જોઈએ. પૃથ્વીરાજની આ માંગ બાદ મહમદ ઘોરીએ એની આંખો ફોડાવી નાખીને પછી મૃત્યુદંડની સજા કરી હતી. એક સમાન બે ઘટના પણ જુદા પરિણામો શા માટે ? આ પ્રશ્નના જવાબ માટે સિકંદર અને મહમદ ઘોરીના જીવનનો થોડો અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે કે, સિકંદરના શિક્ષક અને માર્ગદર્શક એરિસ્ટોટલ હતા. અને કમનસીબે મહમદ ઘોરીને આવી કોઈ વ્યક્તિની સંગત નહોતી.
તમે કોની સાથે બેસો છો, કોની સાથે સમય વિતાવો છો, કોઈની સાથે રહ્યા પછી તમારા જીવનમાં શું શું પરિવર્તન આવે છે; આ બધું બહુ જ મહત્ત્વનું છે. કોઈ સારી વ્યક્તિની સંગત તમારા જીવનને માનવતાવાદી બનાવી શકે છે.
શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો. પ્રલય અને નિર્માણ એના ખોળામાં ઊછરે છે.
– ચાણક્ય