ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
અર્કનો પુષ્પ… જેને આપણે “મંદાર” કે “અર્કપત્ર” તરીકે પણ ઓળખીએ છીએ… વૈદિક યુગથી જ શિવ આરાધનાનો અત્યંત મહત્વનો ભાગ રહ્યો છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ પુષ્પ શિવજીને અત્યંત પ્રિય છે, કારણકે તે તપ, ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે. અર્કપુષ્પમાં તેજ, ઔજસ અને ઔષધીય ગુણધર્મો ઉપરાંત એક અલૌકિક આધ્યાત્મિક ઊર્જા પણ સમાયેલી છે. આ કારણે જ્યારે આ દિવ્ય પુષ્પથી શૃંગાર થાય છે, ત્યારે તે માત્ર બાહ્ય શણગાર નહીં, પરંતુ બ્રહ્મસંયોગનું જીવંત માધ્યમ બની જાય છે. શ્રી સોમનાથ મહાદેવને અર્પણ થયેલા સેંકડો અર્કપુષ્પો… જાણે ભક્તોની પ્રાર્થનાઓમાંથી ખીલી ઉઠ્યા હોય. દરેક પુષ્પ એ એક ભાવના છે, એક આહ્વાન છે, એક સમર્પણ છે – જે સીધું આપણાં આરાધ્ય સુધી પહોંચે છે. શિવજીને અર્કપુષ્પ અર્પિત કરવું – શારીરિક, માનસિક અને આત્મિક શુદ્ધિ માટે વિશેષ સાધન માનવામાં આવે છે. આ પુષ્પ રાહુ-કેતુ તથા શનિ જેવા ગ્રહોના પ્રભાવો સામે ભક્તને રક્ષણ આપે છે. સોમનાથમાં આજે, જ્યાં મહાસાગરની લહેરો શિવનામનો ગાન કરી રહી છે… ત્યાં અર્કપુષ્પના આ વિશેષ શૃંગારમાં મહાદેવનું સ્વરૂપ ભક્તજનોને દિવ્ય અનુભૂતિ કરાવી રહ્યું છે. આ માત્ર શૃંગાર નથી… આ તો સાધના છે. આ માત્ર દર્શન નથી… આ તો આત્માનું આંતરિક સ્પર્શ છે. આવો, આ શ્રાવણ માસમાં આપણે પણ આપણા અંતર્મનમાંથી અહંકાર, ક્રોધ અને મોહના બંધનોનો ત્યાગ કરીએ અને ભક્તિ, સેવા અને સમર્પણથી શિવપથ પર આગળ વધીએ.
સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ બીજ પર વિશેષ શ્રી હનુમંત દર્શન શૃંગાર કરાયો
- Advertisement -
155 કિલો પુષ્પ, ચંદન, બિલીપત્રથી જ્યોતિર્લિંગ પર હનુમાનજીની પ્રતિકૃતિ
શ્રાવણ શુક્લ બીજ પર ભગવન શિવના જ અવતાર એવા, ભક્તશિરોમણી, શક્તિ અને ભક્તિના પ્રતિક શ્રી હનુમાનજીના દર્શન કરાવતો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ દાદાને 155 કિલોગ્રામ પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યા હતા જેમાં વિશેષ રૂપે ચંદન, બિલ્વપત્ર અને પીળાં પુષ્પોથી હનુમાનજીની દિવ્ય પ્રતિકૃતિ નિર્મિત કરવામાં આવી હતી.
હરિ અને હર ના પ્રેમના ઉચ્ચતમ સ્વરૂપ એટલે ભગવાન વિષ્ણુના સ્વરૂપ શ્રી રામ માટે ભગવાન શિવના સ્વરૂપ હનુમાનજીનું દાસત્વ અને હનુમાનજીની અખંડ ભક્તિ. ભગવાન હનુમાનજી ભગવાન રામના સદૈવ ભક્ત, અને શિવના રુદ્ર અવતાર તરીકે ઓળખાય છે. આ દિવસ એ યાદ અપાવે છે કે ભગવાનમાં ભેદ નથી. જ્યારે આપણે શ્રી સોમનાથ મહાદેવ સાથે હનુમાનજીનું ઐક્ય દર્શીએ, ત્યારે આપણું અંત:કરણ પણ એ ભક્તિમાં લીન થાય છે. ભગવાન સોમનાથ અને હનુમાનજી બંનેના દર્શન કરી ભક્તજનોએ જીવનમાં શાંતિ અને નિસ્વાર્થ ભક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.