સરદાર વલ્લભભાઈ પટેલ મહાન વિભૂતિ હતા; તેમણે પૂજ્ય બાપુની આગેવાનીમાં સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું : કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસર પર પોરબંદર જિલ્લામાં તેમજ શહેર કક્ષાએ ‘રન ફોર યુનિટી’નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ,વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ મહાન વિભૂતિ હતા. તેમણે પૂજ્ય બાપુની આગેવાની હેઠળ સમગ્ર જીવન રાષ્ટ્રની સેવા માટે સમર્પિત કર્યું હતું. દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે સરદાર સાહેબે દેશી રજવાડાઓને એકસાથે જોડવાનો ઐતિહાસિક કાર્ય કર્યું હતું. સરદાર સાહેબે અનેક સંસ્થાઓની સ્થાપના કરી હતી અને તેમને મળેલી જવાબદારીઓ તેમણે સુપેરે નિભાવી હતી આજે જે ભારતનો જે નકશો છે તેના સાચા શિલ્પીકાર સરદાર સાહેબ છે. મંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ સરદાર સાહેબના વિચારોને આત્મસાત કરીને દેશના વિકાસ માટે સમર્પિત ભાવથી કાર્ય કરે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દરેક વ્યક્તિએ પોતાના કૌશલ્ય વિકાસ કરીને રાષ્ટ્ર માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
‘રન ફોર યુનિટી’નું આયોજન ધી દુલિપ સ્કૂલ ઓફ ક્રિકેટથી શરૂ થઈ સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, રામ ગેસ્ટ હાઉસ, ભાવેશ્વર મંદિર, સત્યનારાયણ મંદિર, ફ્રેન્ડ્સ પેટ્રોલપંપ, એમ.જી. રોડ, હાર્મની સર્કલ, યુગાન્ડા રોડ, સરદાર પટેલ ચોક રેલ્વે સ્ટેશન સર્કલ સુધી યોજાઈ હતી.અને રેલ્વે સ્ટેશન સર્કલ પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, વ્હીલ ચેર ક્રિકેટર ભીમાભાઈ ખુટી, અશોક મોઢા,સામતભાઈ ઓડેદરા તથા અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ જોડાયા હતાં અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાના સંકલ્પ સાથે ’એકતા શપથ’ લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ઉજવાતો રાષ્ટ્રીય એકતા દિવસ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સમરસતાના સંકલ્પને પુન:પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે મંત્રી સહિત નગરજનોએ રન ફોર યુનિટીમાં જોડાઈને દેશની એકતા માટે અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.



 
                                 
                              
        

 
         
         
        