પહેલાં બંને બાળકોને ઉલટી ના થાયની દવા આપી બાદમાં એક દીકરાને પાણીમાં ઝેર નાખી પીવડાવી દીધું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના બાપુનગર વિસ્તારમાં પિતાએ દીકરાને સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને મોતને ઘાટ ઉતારવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્ની મહેસાણા કામથી ગઇ હોવાથી પિતાને બાળક સાથે જીવન ટુંકાવી દેવાનો વિચાર આવ્યો હતો. જેથી તેણે પહેલા બે બાળકોને ઉલટી ના થાય તેની દવા આપી અને બાદમાં દીકરાને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી દીધુ હતું. સોડિયમ નાઇટ્રેટથી દીકરાની તબીયત લથડતાં પિતા ગભરાઇ ગયા હતા અને તરત જ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. ચાંદખેડા વિસ્તારમાં આવેલા ન્યુ કમલકુંજ સોસાયટીમાં રહેતા યોગેશ ગોહિલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં કલ્પેશ ગોહિલ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. યોગેશનો નાનો ભાઇ કલ્પેશ તેના માતા-પિતા, પત્ની અને બાળક સાથે રહે છે. ગઇકાલે યોગેશના દીકરા મિહિરનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, કલ્પેશ કાકાનો ફોન આવ્યો હતો અને ઓમ બિમાર થઇ ગયો છે જેને શારદાબેન હોસ્પિટલમાં લઇ ગયા છે તેવું કહેતા હતા.
ભત્રિજાના તબિયત ખરાબ થઈ હોવાના સમાચાર મળતાની સાથે જ યોગેશ પત્નીને લઇને તરત જ શારદાબેન હોસ્પિટલ પહોંચી ગયો હતો. હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. તે દરમિયાન ઓમની બહેને જણાવ્યું હતું કે, પપ્પાએ દવા આપી અને ત્યારબાદ ઓમની તબીયત ખરાબ થઇ ગઈ હતી. દવા આપ્યા બાદ પિતા જતો રહ્યો હતો જેથી તેની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન સામે આવ્યું હતું કે, કલ્પેશ બાપુનગર પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. કલ્પેશે પોલીસ સમક્ષ નીવેદન આપ્યું હતું કે, મારી પત્ની જયશ્રી મહેસાણા ગઇ હતી ત્યારે મને મરી જવાનો વિચાર આવ્યો. જેના કારણે મેં પહેલા મારા બન્ને દીકરાને ઉલટી ના થાય તેની દવા આપી હતી અને બાદમાં પીવાના પાણીમાં સોડિયમ નાઇટ્રેટ નાખીને ઓમને પીવડાવી દીધું હતું.
દીકરાને 30 ગ્રામ સોડિયમ નાઇટ્રેટ પીવડાવી દેતા તેના હોઠ વાદળી થઇ ગયા હતા અને તેના પેટમાં દુખાવો શરૂ થઇ ગયો હતો. કલ્પેશ ગભરાઇ જતા તે તરત જ ભાગી ગયો હતો અને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. દીકરાને વગર કારણે સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને મોતને ઘાટ ઉતારનાર કલ્પેશ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે ઓમની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે. ત્યારે કલ્પેશની ધરપકડ કરી છે.
સોડિયમ નાઇટ્રેટ પાવડરના સ્વરૂપમાં હોય છે અને જો તેને એક ચમચી પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો 20 મિનિટમાં જ મોત થઈ શકે છે. એકવાર સોડિયમ નાઇટ્રેટ પી લીધું પછી બચવાની સંભાવના રહેતી નથી.