કાલાવડ રોડ પર ટેન્કર અટકાવીને રસ્તા પર ઢોળી નાખ્યું
દૂધની નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા
- Advertisement -
રાજકોટમાં આજે માલધારી સમાજનો વિરોધ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઢોર નિયંત્રણના કાયદાના વિરોધમાં આજે માલધારી સમાજ દ્વારા દૂધનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ હાલ જે ધંધાર્થીઓ દ્વારા દૂધનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેમને પણ માલધારીઓના રોષનો શિકાર બનવું પડી રહ્યું છે. જ્યાં એરપોર્ટ રોડ પર દૂધની ડેરી પર માલધારીઓનું ટોળું ત્રાટક્યું હતું અને ડેરીમાં તોડફોડ કરી 80 લીટર દૂધ રસ્તા પર વહાવી દીધું હતું. જયારે કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસી નજીક દૂધનું ટેન્કર અટકાવીને દૂધ રસ્તા પર ઢોળી નાખ્યું હતું. જેને પગલે દૂધની રેલમછેલ થઇ ગઇ હતી. સોખડા ચોકડી પર તો દૂધ ભરેલા કેનના કેન ખાલી ર્ક્યા હતા. જેને પગલે રસ્તા ઉપર રસ્તા પર દૂધની નદી વહેતી થઈ ગઈ હતી.
એરપોર્ટ રોડ પર બનેલા બનાવ અંગે ડેરીના સંચાલક અનીશભાઈ લાખણીએ જણાવ્યું હતું કે, સવારે 8 વાગ્યાના સુમારે મોટી સંખ્યામાં લોકોનું ટોળું મારી દુકાને આવ્યું હતું અને મને ડેરી બંધ કરવાનું કહ્યું હતું. મેં વિનંતી કરી હતું કે તે તાત્કાલિક ડેરી બંધ કરી દઈશ, છતાં પણ મારી વાત સાંભળ્યા વિના ફ્રીઝમાંથી દૂધની થેલીઓ કાઢીને તેને રસ્તા પર વહાવી દીધી હતી અંદાજે 70 થી 80 લીટર જેટલુ દૂધ વેડફાય જતા 5થી6 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. હાલ ઘટના સ્થળે પોલીસની ટીમ પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.બીજી તરફ સોખડા ચોકડી પાસે જાણે દૂધની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કારણકે માલધારીઓ દ્વારા હજારો લિટર દૂધને રસ્તા પર વહાવી દેવામાં આવ્યું હતું.જો કે મામલે માલધારી સમાજના આગેવાન રણજીત મુંધવાએ દુધનું નુકસાન ન કરવાની અપીલ કરી હતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, દૂધ મંદિરમાં આપવું ગરીબ લોકોને આપવું અથવા તો દ્વારકાધીશની ખીર બનાવી અને પ્રસાદ વિતરણ કરો મહેરબાની કરીને ક્યાંય પણ દૂધને વેડફો નહીં.
એક વિરોધ આવો પણ…
- Advertisement -
માલધારીઓ દ્વારા હોસ્પિટલમાં બાળકો અને દર્દીઓને દૂધનું વિનામૂલ્યે વિતરણ
ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં આજે દૂધનું વહેચાણ ન કરવા કરાયેલ એલાનને લઇ રાજકોટમાં પ્રતીકાત્મક વિરોધ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરના માલધારી સમાજના આગેવાનો દ્વારા સિવિલ હોસ્પિટલમાં ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે બાળકો તેમજ ગરીબ લોકોને નિ:શુલ્ક દૂધ પીવડાવવામાં આવ્યું હતું. માલધારી સમાજના ધર્મગુરુએ કરેલ એલાન પગલે આજે દૂધના વહેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ દૂધ ની ખીર બનાવી લોકોને ખવડાવવા તેમજ ગરીબ લોકોને પીવડાવવા આહવાન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ શહેર માલધારી સમાજના આગેવાનો દ્વારા આજ રોજ સિવિલ હોસ્પિટલમાં ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ગરીબ પરિવારના લોકો તેમજ સારવાર અર્થે આવેલ બાળકોને નિ:શુલ્ક દૂધ આપી પ્રતીકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.