પી.એમ.પોષણ યોજના અંતર્ગત જારના પીઝા અને બાજરીનો લસણીયો રોટલો વગેરે વાનગીઓ પ્રદર્શિત
શાળાઓમાં માનદ વેતનમાં ફરજ બજાવતા 50 બહેનોએ ભાગ લીધો
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) હેઠળ ફરજ બજાવતા માનદ વેતન ધારકોની મિલેટ અંતર્ગત વાનગી સ્પર્ધાનું મધ્યાહન ભોજન સેન્ટ્રલ કિચન, સૂચક સ્કુલ, શાસ્ત્રી મેદાન પાસે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં માનદ વેતનમાં ફરજ બજાવતા 50 બહેનોએ ભાગ લીધો હતો. આ બહેનો દ્વારા મિલેટ એટલે કે રાગી, જુવાર, બાજરી, મકાઈ, જવ, કાંગ, કોદરી, સામો જેવા સ્થાનિક અન્ન-જાડા ધાનની વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી. જેમાં, બાજરાનો વઘારેલો રોટલો, બાજરાના વઘારેલા મુઠીયા, જુવારનો વઘારેલો ખીચડો, જારના પીઝા, બાજરીનો લસણીયો રોટલો, લાડુ, પરોઠા, થેપલા, ઢોકળા વગેરે પ્રકારની અવનવી વાનગીઓ બનાવી પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, મધ્યાહન ભોજન યોજનાના ઇન્ચાર્જ ડેપ્યુટી કલેકટર બી.એલ.કાથરોટીયા, મેનેજર વી.ડી.ઘોણીયા, ડેપ્યુટી સેક્રેટરી ડી.એન.જેસડીયા, નાયબ મામલતદાર રીનાબેન સુરેલીયા, સોનલબેન ગોસાઈ તથા તેમજ માનદ વેતનમાં ફરજ બજાવતા બહેનો/ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન આપતા મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે , વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. મિલેટ એટલે કે, બાજરી, જુવાર, રાગી જેવા ધાન મારફત વિવિધ વાનગી બનાવવી. અગાઉ લોકો બાજરાના લોટમાંથી બનાવેલ રાબ પીતા પરંતુ આજની પેઢીમાં આ છુટી ગયેલ છે. આ ધાન્ય આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે અને પાચન માટે પણ હલકું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બહેનો સ્કુલના બાળકોની માતા બની મધ્યાહન ભોજનની રસોઈ પીરસે છે. સરકાર દ્વારા મધ્યાહન ભોજન દ્વારા આરોગ્યની ચિંતા કરેલ છે. કોઇપણ બાળક કુ-પોષિત ના રહે તે માટે સુખડી, શીરો પણ પીરસવામાં આવે છે. આ સ્પર્ધામાં બહેનો દ્વારા દિલને સ્પર્શી જાય તેવી સરસ વાનગીઓ બનાવેલ છે. મિલેટ ખાવાથી આપણે બીમાર પણ પડતા નથી. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું
આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત પ્રવચન શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું ખાદીના રૂમાલ અને ગુલાબથી સ્વાગત મધ્યાહન ભોજન યોજનાના રીનાબેન સુરેલીયા અને સોનલબેન ગોસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. બાદમાં વાનગી સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ રકમ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં જજ તરીકે સેવા આપેલ વનિતાબેન રાઠોડ, ભાર્ગવીબેન ભટ્ટ, ગીતાબેન ખાનપરાને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની આભારવિધિ રાજકોટ મનપાના મેનેજર અને મધ્યાહન ભોજન યોજનાના ઇન્ચાર્જ નાયબ કલેકટર બી.એલ.કાથરોટીયા દ્વારા કરવામાં આવી હતી.