T20 વર્લ્ડ કપ 2026ને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે પાકિસ્તાને પણ ઝંપલાવ્યું છે. ભારતમાં સુરક્ષા કારણોસર રમવાનો ઇન્કાર કરી રહેલા બાંગ્લાદેશને આયર્લૅન્ડ તરફથી નિરાશા મળ્યા બાદ, હવે પાકિસ્તાને એક નવો દાવ રમ્યો છે.
પાકિસ્તાને કથિત રીતે ધમકી આપી છે કે જો બાંગ્લાદેશના મુદ્દાનું નિરાકરણ નહીં આવે, તો તે T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા પર પુનર્વિચાર કરી શકે છે.
- Advertisement -
બાંગ્લાદેશ પાકિસ્તાનના શરણે
ભારતમાં પોતાની મેચો રમવાને લઈને આનાકાની કરી રહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ICCને તેના મેચો શ્રીલંકામાં શિફ્ટ કરવા અથવા આયર્લૅન્ડ સાથે ગ્રૂપની અદલાબદલી કરવા વિનંતી કરી હતી. પરંતુ આયર્લૅન્ડે ગ્રૂપ બદલવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. એક રિપોર્ટ અનુસાર, આ પછી બાંગ્લાદેશ હવે પાકિસ્તાનના શરણે ગયું છે અને તેની પાસેથી કૂટનીતિક અને ક્રિકેટ સંબંધિત સમર્થનની માંગ કરી છે. રિપોર્ટ મુજબ, બાંગ્લાદેશને પાકિસ્તાન તરફથી ‘સકારાત્મક જવાબ’ મળ્યો છે.
પાકિસ્તાનનો નવો દાવ અને બહિષ્કારની ધમકી
- Advertisement -
રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ‘પાકિસ્તાને સંકેત આપ્યો છે કે જો બાંગ્લાદેશના મુદ્દાનું નિરાકરણ નહીં આવે, તો તેમની ટીમ વર્લ્ડ કપમાં પોતાની ભાગીદારી અંગે પુનર્વિચાર કરી શકે છે.’ પાકિસ્તાને ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ દેશ પર દબાણ ન કરવું જોઈએ અને આ મુદ્દે બાંગ્લાદેશને સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે. જોકે, પાકિસ્તાન તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, કે ICCએ પણ આ વાતની પુષ્ટિ કરી નથી.
શું આ પાકિસ્તાનની વધુ એક ‘ગીધડધમકી’ છે?
જોકે, પાકિસ્તાન દ્વારા આ પ્રકારની ધમકીઓ આપવી કોઈ નવી વાત નથી. ગયા વર્ષે એશિયા કપ દરમિયાન જ્યારે ભારતીય કૅપ્ટન અને ટીમે પાકિસ્તાની કૅપ્ટન અને ટીમ સાથે હાથ ન મિલાવ્યા ત્યારે પણ તેણે ટુર્નામેન્ટના બહિષ્કારની ‘ગીધડધમકી’ આપી હતી. લાંબા નાટક પછી, આખરે પાકિસ્તાન ટુર્નામેન્ટ રમ્યું હતું. તે સમયે પણ તેની ધમકી પોકળ સાબિત થઈ હતી. આથી, ક્રિકેટ જગતમાં ચર્ચા છે કે શું આ પણ પાકિસ્તાનનો માત્ર દબાણ બનાવવાનો એક પેંતરો છે.




