ધો.12 સાયન્સ પરિણામમાં રાજકોટનાં 96 વિદ્યાર્થીઓએ મેળવ્યો અ1 ગ્રેડ, 1063 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
- Advertisement -
આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં ધો. 12 સાયન્સમાં રાજકોટનું 92.06 ટકા અને ધો. 12 સામાન્ય પ્રવાહમાં 93.29 ટકા પરિણામ આવ્યું છે. 12 સાયન્સમાં રાજકોટમાં 96 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ અને 1063 વિદ્યાર્થીઓ અ2 ગ્રેડ મેળવ્યો છે.
ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાનું 92.06% પરિણામ જેમાં A1 ગ્રેડ ધરાવનારા 96 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડ ધરાવનારા 1063 વિદ્યાર્થીઓ છે. 8013 વિદ્યાર્થીઓ પૈકી 7998 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 650 જેટલા વિધાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ રાજકોટ શહેર અને જિલ્લાનું 93.29% પરિણામ આવ્યું છે.
જેમાં A1 ગ્રેડ ધરાવનારા 889 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડ ધરાવનારા 3984 વિદ્યાર્થીઓ 22617 વિદ્યાર્થીઓ પૈકી 22566 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 1566 વિધાર્થીઓ નાપાસ થયા છે. પરિણામ જાહેર થતાં કેટલાય સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓના પરિવારોમાં પણ ખુશી જોવા મળી રહી છે. કેટલાય વિદ્યાર્થીઓ એવા છે કે જેમના માતા પિતા મજુરી કરે છે એ પરિવારના વિદ્યાર્થીઓએ સારા એવા ગુણોથી પાસ થતા પરિવારમાં પણ કે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
શાળા અને પરિવારનું નામ રોશન કરતો દિપાંશુ સોજીત્રા
‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’: સામાન્ય ખેડૂતપુત્ર દિપાંશુ સોજીત્રા સમગ્ર બોર્ડમાં ફર્સ્ટ
12 સાયન્સમાં 99.99 P.R સાથે SKP સ્કૂલના સોજીત્રાએ ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો: ઠેર-ઠેરથી શુભેચ્છાઓની વર્ષા
‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ આ પંક્તિને સાર્થક કરી છે એક સામાન્ય ખેડૂતપુત્રએ કે જે સમગ્ર બોર્ડમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરી માતા-પિતા, પરિવાર અને સ્કૂલનું ગૌરવ વધાર્યુ છે.
આજે બોર્ડનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓએ રાહતના શ્ર્વાસ લીધા છે. આ વખતે બંને પ્રવાહ સાથે રાજકોટમાં પણ ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે ત્યારે રાજકોટની એસ.કે.પી. સ્કૂલનો એક સામાન્ય ખેડૂતપુત્ર દિપાંશુ વિજયભાઈ સોજીત્રાએ 12 સાયન્સમાં 99.99 પી.આર. સાથે આખા ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. કાલાવાડ તાલુકાના નાના એવા રાજડા ગામના એક સામાન્ય ખેડૂત દંપતિ વિજયભાઈ અને મનિષાબેનના પુત્ર દિપાંશુએ માત્ર પરિવાર જ નહીં પણ શાળાનું નામ પણ રોશન કર્યું છે.શ્રી નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એસ.કે.પી. સ્કૂલના સંચાલકો અશોકભાઈ પાંભર અને રમેશભાઈ પાંભરના સુચારુ મેનેજમેન્ટ અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનથી દિપાંશુ ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શક્યો છે. આમ સામાન્ય ખેડૂતપુત્ર દિપાંશુ સોજીત્રાને ઉજળા ભવિષ્યની માતા-પિતા અને પરિવાર સહિત શાળા સંચાલકોએ શુભેચ્છા પાઠવી છે.