દુનિયામાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખરની વસ્તી ગણતરી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
- Advertisement -
ઘુડખર સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે. આ દુર્લભ પ્રાણીના રક્ષણ અને સંવર્ધન માટે કચ્છના નાના રણ તથા આસપાસના પ્રદેશોમાં ઘુડખર અભયારણ્યની સ્થાપના કરવામાં આવેલ છે. ત્યારે 10મી વખત ઘુડખર વસ્તી ગણતરી યોજાઈ હતી. ભારતમાં એક માત્ર ગુજરાતમાં ઘુડખરની વસ્તી 7,672 નોંધાઈ છે. રાજ્યમાં સૌથી વધુ 2705 જેટલા ઘુડખર સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયા છે. વન રીઝિયન પ્રમાણે સૌથી વધુ 3234 ઘુડખર ધાંગધ્રામાં જોવા મળ્યા. આમ પાંચ વર્ષમાં અંદાજિત 26 ટકાનો વધારો થયો છે. તો ઘુડખરની સાથોસાથ નીલગાય, ચિંકારા, કાળિયાર, જંગલી ભૂંડ અને ભારતીય શિયાળ જેવા વન્ય જીવોની ગણતરી પણ યોજાઈ. ગણતરી દરમિયાન કુલ 15,510 ચો.કિ.મી. વિસ્તાર આવરી લેવાયો છે.વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર રાજ્યનું ગૌરવ છે. ભૂતકાળમાં ઘુડખર ઉત્તર-પશ્ચિમ ભારત, પાકિસ્તાનથી માંડીને મધ્ય-એશિયાના સૂકા વિસ્તાર સુધી વિહરતા જોવા મળતા હતા. જો કે, આ ઘુડખર હાલ ભારતમાં એક માત્ર ગુજરાતના કચ્છના નાના-મોટા રણના વિસ્તારમાં જ જોવા મળે છે. ગુજરાત સરકારના અવિરત પ્રયાસ તેમજ વિવિધ જાગૃતતા અભિયાનોના પરિણામે 7,642 ઘુડખરની વસ્તી નોંધાઈ છે, એટલે કે અંદાજે 26.14 ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાત સહિત ભારતભરમાં દર વર્ષે તા. 2થી 8 ઑકટોબર દરમિયાન ’વન્ય જીવ સંરક્ષણ સપ્તાહ’ ઉજવવામાં આવે છે ત્યારે, આ સમગ્ર રાજ્ય માટે પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.મંત્રી મૂળુભાઈએ જણાવ્યું હતું કે, દર પાંચ વર્ષે ઘુડખરની વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા 10મી વાર ઘુડખર વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં ઘુડખરની કુલ વસ્તી અંદાજે 7,672 નોંધાઈ છે. જ્યારે, છેલ્લી ગણતરી મુજબ ગુજરાતમાં 6,082 ઘુડખર હતા. ગુજરાતના ઘુડખર વિશ્વમાં ‘ઊિીીત વયળશજ્ઞક્ષીત સવીિ’ અને ખુર તરીકે પણ ઓળખાય છે. મંત્રી મુકેશ પટેલે ઉમેર્યુ હતું કે, ઠઅઙઊ- 2024ના આયોજનને પૂરી કરવા ગણતરીકારોને ઘુડખર તેમજ અન્ય વન્ય પ્રાણીઓની ઓળખ માટે ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ, ગણતરીકારોને પરંપરાગત પદ્ધિતિની સાથે જ, આધુનિક ટેકનોલોજી જેમ કે ડ્રોન કેમેરા, કેમેરાટ્રેપ, ઈ-ગુજ ફોરેસ્ટ મોડ્યુલ જેવા સંસાધનો પણ આપવામાં આવ્યા હતા.
સૌથી વધુ ઘુડખર સુરેન્દ્રનગર જિલ્લામાં કરે છે વસવાટ
ઘુડખર ગણતરીની વિગતો આપતા વન મંત્રીએ જણાવ્યું હતું કે, ઘુડખર મુખ્યત્વે રાજ્યના 6 જિલ્લાઓમાં જોવા મળે છે. 10મી ઘુડખર વસ્તી ગણતરી પ્રમાણે 2,705 ઘુડખર સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે. જ્યારે 1,993 ઘુડખર કચ્છ જિલ્લામાં, 1,615 પાટણમાં, 710 બનાસકાંઠામાં, 642 મોરબીમાં તેમજ 7 ઘુડખર અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે. આ ઉપરાંત વન રીઝિયન પ્રમાણે સૌથી વધુ 3,234 ઘુડખર ધાંગધ્રામાં, 2,325 રાધનપુર અને 2,113 ભચાઉ રીઝિયનમાં વસવાટ કરે છે. આ વન અને અભયારણ્ય વિસ્તારમાં 2,569 માદા ઘુડખર, 1,114 નર ઘુડખર, 584 બચ્ચાં અને 2,206 વણ ઓળખાયેલ જ્યારે, રેવન્યુ વિસ્તારમાં 558 માદા ઘુડખર, 190 નર ઘુડખર, 168 બચ્ચાં તેમજ 283 વણ ઓળખાયેલા ઘુડખર છે. આમ બે વિસ્તારના મળીને રાજ્યમાં કુલ 7,672 ઘુડખર નોંધાયા છે.
ઘુડખરની સાથે અન્ય વન્ય પ્રાણીઓની કરાઈ ગણતરી
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ઘુડખર વસ્તી ગણતરી અંદાજે ઠઅઙઊ- 2024માં લગભગ 15,510 ચો. કિ.મી. વિસ્તારમાં ડાયરેક્ટ કાઉન્ટ પદ્ધતિથી કરવામાં આવી હતી. વર્ષ 2024માં ઘુડખરની સાથે સાથે અન્ય વન્ય પ્રાણીઓની ગણતરી પણ કરવામાં આવી હતી. આ ગણતરીમાં નીલગાય, ચિંકારા, કાળિયાર, જંગલી ભૂંડ, ભારતીય શિયાળ, રણ લોંકડી જેવા વન્ય જીવોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ 2,734 નીલગાય, 915 જંગલી ભૂંડ, 222 ભારતીય સસલું, 214 ચિંકારા તેમજ 153 ભારતીય શિયાળ નોંધાયા છે.
- Advertisement -
ઘુડખર સાથે સંકળાયેલ અન્ય વન્યપ્રાણીઓની વિગત
(પ્રજાતિ : સંખ્યા)
નીલગાય : 2,734
જંગલી ભૂંડ : 915
ભારતીય સસલું : 222
ચિંકારા : 214
ભારતીય શિયાળ : 153
રણ લોંકડી : 70
ભારતીય લોંકડી : 49
કાળિયાર : 39
ભારતીય ઝરખ : 15
રણ બિલાડી : 11
જંગલી બિલાડી : 04
ભારતીય વરુ : 02



