JCC હાર્ટ ઈન્સ્ટ્યિુટને PMJAYમાંથી સસ્પેન્ડ કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જામનગરમાં પણ અમદાવાદની ખ્યાતિકાંડ જેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં 262 કેસમાંથી 53માં જરૂરિયાત વગર કાર્ડિયાક પ્રોસીજર કરવાનો અને 105 કાર્ડિયાક પ્રોસીજરમાં ગેરરીતિ થઈ હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે જામનગરની ઉંઈઈ હાર્ટ ઇન્સ્ટીટ્યુટને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે અને ડો. પાર્શ્ર્વ વોરા (G-28538)ને પણ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ સસ્પેન્ડ કરાયા છે. સાથે જ રૂ. 6 લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
તપાસમાં જાણવા મળ્યું હતું કે જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટ દ્વારા કેટલાક કેસમાં લેબોરેટરી અને ECG રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસીજરની જરૂર હોવાનું બતાવાયું હતું. રાજ્યકક્ષાએ થયેલી તપાસમાં કુલ 262 કેસમાંથી 53 કેસમાં વિસંગતા મળી આવી હતી, જેમાં જરૂરિયાત ન હોવા છતાં પણ કાર્ડિયાક પ્રોસીજર કરાઈ હતી.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, પી.એમ.જે.એ.વાય.મા યોજના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે. વધુમાં તેમણે જણાવ્યું કે, તાજેતરના નિરીક્ષણ દરમિયાન યોજનાની ગાઇડલાઇનનું પાલન ન કરનાર અન્ય બે ખાનગી હોસ્પિટલો સામે પણ પગલાં લેવાયા છે. જેમાં પાલનપુરની એક હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડોક્ટર સિવાયના ડોક્ટર દ્વારા સર્જરી કરવા બદલ અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલમાં પેકેજ દર કરતાં વધારે રકમ વસૂલવા બદલ રૂ. 50-50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, સરકારી આરોગ્ય યોજનાઓમાં પારદર્શિતા અને જનહિત માટે ગેરરીતિ કરનાર કોઈપણ હોસ્પિટલ કે ડોક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.
- Advertisement -
JCC હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં લેબોરેટરી-ECGમાં છેડછાડ કરી 105ના ખોટા રિપોર્ટ બનાવાયા
ડૉ. પાર્શ્ર્વ વોરા (G-28538)ને કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ સસ્પેન્ડ કરાયા
અમે તાત્કાલિક અસરથી ડો.પાર્શ્ર્વ વોરાને ડિસમિસ કરી દીધા છે: ડાયરેકટર
JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ડાયરેકટર ડો. કે.એચ. મારકણાએ જણાવ્યું કે અમને ડો. પાર્શ્ર્વ વોરાએ આવી કોઈ ક્યારેય જાણ કરી નહોતી.અમે પણ તપાસ કરી હતી, વારંવાર પૂછવા છતાં સાહેબે ક્યારેય નથી કહ્યું કે આપણે ગેરરીતિ કરીએ છીએ. આ બધુ કાર્ય અમને અંધારામાં રાખી જાણ બહાર કરવામાં આવ્યુ છે. અમને જ્યારથી જાણ થઈ ત્યારથી અમે તેમને ફરજમુક્ત કર્યા છે.



