‘આપણું પોરબંદર – ગ્રીન પોરબંદર’ અભિયાનને મળી નવી દિશા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
હરિયાળું પોરબંદર – સ્વસ્થ પોરબંદરના મંત્ર સાથે શરૂ થયેલું ‘આપણું પોરબંદર – ગ્રીન પોરબંદર’ અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. શહેરમાં 15,000 વૃક્ષો વાવવા માટે નક્કી કરાયેલ આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 8,600 જેટલા વૃક્ષોનું વાવેતર સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. શહેરની ગલીઓ અને સાર્વજનિક પ્લોટોમાં વૃક્ષારોપણની સાથે હવે આ અભિયાન ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યું છે. અભિયાનના આગેવાનો રામદેવભાઈ મોઢવાડિયા, પ્રવીણભાઈ ખોરાવા અને ધર્મેશભાઈ પરમારના નેતૃત્વમાં ‘આપણું પોરબંદર ગ્રીન પોરબંદર’ સંસ્થાએ મોઢવાડા અને વિસાવાડા ગામોને દત્તક લઈ આગામી તબક્કામાં અહીં 5,000 વૃક્ષોનું વાવેતર કરવાનું ઘોષિત કર્યું છે. તેઓએ જણાવ્યુ હતું કે, શહેરમાં મળતા ઉત્સાહજનક પ્રતિસાદ પછી હવે અમારું ધ્યાન ગામડાઓ તરફ છે. મોઢવાડા અને વિસાવાડામાં શાળા, ધાર્મિક સ્થળો અને આજુબાજુના વિસ્તારોમાં સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવશે. આ અભિયાનમાં સ્થાનિક ગ્રામજનોનો પણ ઉમદા સહયોગ મળી રહ્યો છે. વૃક્ષારોપણ માટેની તૈયારી, જમીન પસંદગી, પાણીની સુવિધા અને સંરક્ષણની વ્યવસ્થા ગામના લોકો દ્વારા જ ઊર્જાવાન રીતે કરવામાં આવી રહી છે. આ અભિયાન માત્ર પર્યાવરણની જ નહીં પણ સામાજિક એકતાની પણ સાકાર પ્રતિકૃતિ બની રહ્યું છે. જેમ ગામવાસીઓ અને સંસ્થા હાથ મિલાવીને પ્રકૃતિની સેવામાં આગળ વધી રહ્યા છે તેમ પોરબંદર જિલ્લાનું હરિયાળું ભવિષ્ય નક્કી થઈ રહ્યું છે.