ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. રૂપાલાએ ત્રણ-ત્રણ વખત ક્ષત્રિય સમાજની માફી માગી છે. ત્યારે રૂપાલાના સમર્થનમાં પાટીદારો મેદાને આવ્યા છે. અંબીકા ટાઉનશિપમાં રૂપાલાના સમર્થનમા 200 જેટલા પોસ્ટર લાગ્યા છે. દરમિયાન યૂથ ક્લબના નેજા હેઠળ 200 જેટલી સોસાયટીના લોકોએ રૂપાલાને જીતાડવા સમર્થન આપ્યું છે. જોકે, આ તકે લાંબા સમયથી રાજનીતિ મૂકી આપાગીગા ઓટલાના મહંત બનેલા રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર સોલંકી મેદાને આવ્યા હતા અને રૂપાલાને માફી આપવા ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી.
- Advertisement -
રાજકોટ યુથ ક્લબના અધ્યક્ષ જીગ્નેશ કાલાવડિયાએ જણાવ્યું હતું કે, યુથ ક્લબના નેજા હેઠળ અંબિકા ટાઉનશિપમાં 200થી વધુ સોસાયટી અને ફ્લેટ ઓનર્સ એસોસિએશનની બેઠક મળી હતી અને તેમાં આ વિસ્તારના લોકોના વિકાસ માટે પુરુષોત્તમ રૂપાલાને સમર્થન આપવું તેવું સર્વાનુમતે નક્કી થયું હતું. રાજકોટ યુથ ક્લબ તમામ સમાજના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં 200થી વધુ રૂપાલાના સમર્થનમાં હોર્ડીગ્સ લાગ્યા છે. આગામી સમયમાં અહીં 10,000થી વધુ લોકોની સભાનું આયોજન કરવામા આવશે.
જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપનાં પૂર્વ કોર્પોરેટર અને હાલ આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાથી ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન થયું છે તે અંગે તેમને માફી પણ માગી છે અને તેમનાથી 40 વર્ષમાં પ્રથમ વખત આ પ્રકારની ભૂલ થઈ છે. જેથી ક્ષત્રિયોએ રૂપાલાને માફ કરી દેવા જોઈએ. ક્ષત્રિયોના આદરણીય ગધેથડ આશ્રમના મહંત લાલબાપુએ પણ આ બાબતે પોઝિટિવ વાત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, મહારાણા પ્રતાપ કે પૃથ્વીરાજ ચૌહાણે ભૂતકાળમાં જેમને આક્રમણો કર્યા તેઓને પણ માફી આપી છે. ક્ષત્રિયોએ 562 દેશી રજવાડાઓ દેશને આપી દીધા અને ખૂબ મોટું બલિદાન આપ્યું છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન અંગે તેમનાં દ્વારા લાગણીસભર રીતે માફી માગી છે. જેથી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાને માફી આપવી જોઈએ તેવી સમગ્ર સમાજની માગ છે. રાજકોટ જિલ્લાને રૂપાલા જેવું યોગ્ય નેતૃત્વ મળ્યું છે. જેથી તેઓ જ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર હોવા જોઈએ. નરેન્દ્ર બાપુએ લાંબા સમય બાદ રાજનૈતિક નિવેદન આપ્યુ હતું અને રૂપાલાને ખુલ્લુ સમર્થન આપ્યુ હતું.