ગુજરાતીઓના પેટમાં દરરોજ ઠલવાય છે
સરકારે ભેળસેળ વિરૂદ્ધના નિયમો કડક બનાવવાને બદલે હળવા કર્યાં
- Advertisement -
‘એનાલોગ પનીર’ને સરકારે માન્યતા આપી છે, આ નકલી પનીર પામ ઓઈલ-મેંદો અને કેમિકલથી બને છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરના એક અહેવાલ અનુસાર અમદાવાદમાં અંદાજે 27000થી વધુ નાની-મોટી રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓ આવેલી છે. જો રોજનું સરેરાશ 1 કિલો પનીર પણ એક રેસ્ટોરન્ટમાં વપરાય તો એકલા અમદાવાદમાં રોજનું 27000 કિલો પનીર ખવાય છે. એક કિલો અસલ પનીર બનાવવા 10 કિલો દૂધ જોઈએ, જેની સામે આટલો મોટો દૂધનો સપ્લાય ઉપલબ્ધ ન હોવાથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં એનાલોગ પનીરનો વ્યાપ અકલ્પનીય રીતે વધ્યો છે.
એક અંદાજ મુજબ જો અમદાવાદમાં દરરોજનું 27000 કિલો પનીર જોઈતું હોય તો અમદાવાદ સિવાયના મહાનગર રાજકોટ, સુરત, બરોડા, ભાવનગરમાં અંદાજે દરરોજનું સરેરાશ 25000 કિલો પનીર જોઈતું હશે. આમ, રાજ્યના પાંચ મહાનગરમાં દરરોજનું આશરે 1.25 લાખ કિલો અને બીજા નાના-મોટા શહેરોનું આશરે 75000 કિલો પનીર તેમાં ઘણી લઈએ તો ગુજરાતમાં દરરોજ અંદાજીત 2 લાખ કિલો પનીરની જરૂરિયાત ઉભી થાય છે જે જરૂરિયાત નકલી પનીર અથવા તો એનાલોગ પનીરથી પૂરી પાડવામાં આવે છે.
- Advertisement -
હોટેલ-રેસ્ટોરાંમાં પનીરની ડિશ મંગાવતી વખતે ખ્યાલ રાખજો કે, તમે ઝેર ખાવા જઈ રહ્યા છો
રાજકોટ સહિત રાજ્યભરની સેંકડો હોટલોમાં શુદ્ધ દૂધના પનીરને બદલે કેમિકલ, વનસ્પતિ તેલ અને સ્ટાર્ચમાંથી બનેલું ‘એનાલોગ પનીર’ પીરસવામાં આવી રહ્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અસલી પનીર કરતા લગભગ અડધી કિંમતે મળતું આ નકલી પનીર લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યું છે. નફો કરવા અનેક સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ, ખૂમચાવાળાથી લઈ સારી સારી રેસ્ટોરન્ટમાં પનીરને બદલ પનીર જેવું જ દેખાતું એનાલોગ પનીરના નામે ગ્રાહકોને પ્રેમથી ખવડાવે છે અને ગ્રાહક બાપડો એનો ફરક જાણતો ન હોવાથી એ ખાય છે અને પનીરની ડિશના પૈસા ચૂકવે છે.
દૂધનું ઉત્પાદન બહુ ઓછું છે એવા ભૌગોલિક વિસ્તારોમાં એનાલોગ પનીરને માન્યતા આપી દેવાઈ છે. સસ્તામાં તૈયાર થઈ જતું હોવાથી તેમજ પનીર જેવું જ દેખાતું હોવાથી આર્થિક દૃષ્ટિએ નફાકારક પુરવાર થતું હોવાથી અનેક જગ્યાએ પનીરને બદલે એનો ઉપયોગ થાય છે. જો ઘરે દૂધથી બનાવેલા પનીરમાં તમે સોય કે એવી બારીક સળી નાખીને બહાર કાઢશો તો એમાં પનીર ચોંટેલું નહીં રહે, જ્યારે એનાલોગ પનીરમાં સળી ખોસીને બહાર કાઢશો તો એમાં એ ચોંટેલું મળી આવશે.
ઉલ્લેખનીય છે કે, પનીર એ કુદરતી રીતે દૂધને ફાડીને બનાવાતી આઇટમ છે. જો એક લિટર દૂધ હોય તો એમાંથી બહુ-બહુ તો 250 ગ્રામ પનીર મળે છે, જ્યારે એનાલોગ પનીર બનાવવામાં દૂધના પાઉડરમાં વનસ્પતિ ઘીનો ઉપયોગ થાય છે, જે ઓરીજીનલ પનીર કરતાં અડધા કરતાં પણ ઓછી કિંમતે તૈયાર થઈ જાય છે. એનલોગ પનીર દેખાવમાં ઓરીજીનલ પનીર જેવું જ હોવાથી પનીરને બદલે એને જ પનીર તરીકે ખપાવી એનો છૂટથી ઉપયોગ થાય છે અને લોકો સાથે છેતરપિંડી કરવાની સાથે તેમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થાય છે. પનીર જેવા દેખાતા એનાલોગ પનીરથી બચવા પનીર ખાતા પહેલા ચકાશો કે આખરે તમે જે પનીર ખાઓ છો તે નકલી કે એનાલોગ પનીર તો નથી ને.
‘એનાલોગ પનીર’ શું છે?
એનાલોગ પનીર એ અસલ પનીર નથી, પરંતુ તેને પનીર જેવું બનાવવા માટે તેમાં વનસ્પતિ તેલ, સ્ટાર્ચ, મિલ્ક પાવડર અને વિવિધ કેમિકલ્સ હોય છે. તેના પેકિંગ પર સ્પષ્ટ લખેલું હોય છે કે ‘આ દૂધમાંથી બનેલું નથી’, છતાં હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો નફાની લાલચમાં તેને શુદ્ધ પનીર તરીકે ખવડાવે છે. શુદ્ધ પનીરનો ભાવ ₹400 પ્રતિ કિલોની આસપાસ છે, જ્યારે એનાલોગ પનીર હોલસેલમાં માત્ર ₹200થી 250માં મળી રહે છે. એનાલોગ પનીરનું વધું પડતું કે એકધારું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેથી તેને ભોજનમાં ટાળવું જોઈએ.
ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેંચવા પર જેલ નહીં માત્ર દંડની જ જોગવાઈ!
સેન્ટ્રલ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે ખાદ્ય સુરક્ષા કાયદામાં ઘણા સુધારા કર્યા છે. હવે જો કોઈ વ્યક્તિ ભેળસેળયુક્ત તરીકે પ્રમાણિત ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચે છે, તો તેને જેલ થશે નહીં પરંતુ દંડ ભર્યા પછી જ તેને મુક્ત કરવામાં આવશે. પહેલા દાળ, પનીર, ખોયા, દૂધ અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓમાં ભેળસેળ માટે સજાની સાથે જેલની જોગવાઈ હતી. પરંતુ હવે વનસ્પતિ તેલ અને અન્ય કૃત્રિમ પદાર્થોમાંથી બનેલી વસ્તુઓને કાનૂની માન્યતા મળી છે. શુદ્ધ પનીરની વ્યાખ્યા બદલીને, વનસ્પતિ તેલ, સોયા પ્રોટીન અને દૂધ પાવડરમાંથી બનેલા પનીરને પણ માન્યતા આપવામાં આવી છે. તેવી જ રીતે વનસ્પતિ તેલમાંથી બનેલી આઈસ્ક્રીમ જેવી વસ્તુઓને ’ફ્રોઝન ડેઝર્ટ’ નામ આપીને વેચવાને કાયદેસર બનાવવામાં આવી છે. ફૂડ સેફ્ટી એક્ટની કલમ 63 જેમાં લાયસન્સ વિના ખાદ્ય પદાર્થો વેચવા બદલ 6 મહિનાની જેલની જોગવાઈ હતી, તેને પણ દૂર કરવામાં આવી છે. હવે ફક્ત 10 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે.
રેસ્ટોરન્ટે મેનૂમાં ‘નકલી’ પનીરનો ઉલ્લેખ કરવો જરૂરી
હોટેલ-રેસ્ટોરન્ટએ તેમના ખાદ્ય વાનગીઓમાં વપરાતા પનીરના પ્રકારનો ઉલ્લેખ કરવો જોઈએ એવી માંગ લાંબા સમયથી છે. તમામ રેસ્ટોરન્ટ્સે તેમના મેનૂમાં સ્પષ્ટ કરવું પડશે કે, ‘તેમની વાનગીઓમાં પરંપરાગત ડેરી આધારિત પનીર છે, કે પછી એનાલોગ પનીર’ (‘નકલી’ અથવા ‘નોન-ડેરી’) છે. એનાલોગ પનીર ડેરી પનીરથી અલગ છે અને ગ્રાહકોને જાણવાનો અધિકાર છે કે તેમને શું પીરસવામાં આવે છે. ભારત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે એનાલોગ પનીરના મેન્યુફેક્ચરિંગ અને ઉપયોગને માન્યતા આપી છે. જોકે સરકારે અમુક શરતો રાખી છે, જેમાં ગ્રાહકને જણાવીને તેમને આ પનીર પિરસવાનો મુખ્ય નિયમ છે પરંતુ કમનસીબે આ થતું નથી.



