SSCમાં 9,17,687, HSC સાયન્સમાં 1,31,987, સા.પ્ર.માં 4,89,279 વિદ્યાર્થી, ધો.10માં 39,066, ધો.12 સા.પ્રવાહમાં 76,249 વિદ્યાર્થીનો ઘટાડો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો એક્સન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ આ વખતે ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે રાજ્યમાંથી કુલ 15,38,953 વિદ્યાર્થી નોધાયા છે. ગત વર્ષની સરખામણીએ 1.10 લાખ વિદ્યાર્થી ઘટયાં છે. ગત વર્ષે 16,49,058 વિદ્યાર્થી નોંધાયા હતા. ધોરણ.10ની પરીક્ષા માટે કુલ 9,17,687 વિદ્યાર્થી, ધોરણ.12 સાયન્સમાં 1,31,987 અને ધોરણ.12 સામાન્ય પ્રવાહ માટે કુલ 4,89,279 વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષની સરખામણીએ ધોરણ.10માં 39,066 જ્યારે ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 76,249 વિદ્યાર્થીનો ઘટાડો નોંધાયો છે. સમગ્ર પરીક્ષા માટે કુલ 5,378 બિલ્ડીંગના 54,294 બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી વિગતો મુજબ ધોરણ.10 નિયમિત વિદ્યાર્થી 7,06,321, ખાનગી નિયમિત 12,797, રિપીટર 1,65,845, ખાનગી રિપીટર 4,570, આઈસોલેટેડ 28,154 મળી કુલ 9,17,687 વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષે ધોરણ.10માં નિયમિત વિદ્યાર્થીની સંખ્યા 7,41,337 નોંધાઈ હતી, જ્યારે કુલ પરીક્ષાર્થીઓની સંખ્યા 9,56,753 હતી. ધોરણ.10ની પરીક્ષા માટે કુલ 84 ઝોનના 981 કેન્દ્રમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 3,184 બિલ્ડીંગના 31,829 બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે. ધોરણ.12 સાયન્સમાં નિયમિત વિદ્યાર્થી 1,11,549 નોંધાયા છે, રિપીટર 20,438 મળી કુલ 1,31,987 વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષે ધો.12 સાયન્સમાં કુલ 1,26,777 વિદ્યાર્થી નોંધાયા હતા. સાયન્સની પરીક્ષા માટે 147 કેન્દ્ર પર 614 બિલ્ડીંગના 6,714 બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે.
ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થી 3,80,269, રિપીટર 61,130, આઈસોલેટેડ 4,940, ખાનગી નિયનિત 29,523, ખાનગી રિપીટર 13,417 મળી કુલ 4,89,279 વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષે ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થી 4,80,794 નોંધાયા હતા.
- Advertisement -
જેલમાંથી કુલ 130 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે
ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે જેલના કુલ 130 કેદીઓએ પણ ફોર્મ ભર્યાં છે. જેમાં ધોરણ.10ની પરીક્ષા માટે 73 જ્યારે ધોરણ.12ની પરીક્ષા માટે 57 કેદી પરીક્ષાર્થી નોધાયા છે. આ પરીક્ષાર્થીઓ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ તેમજ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.