ત્રણ દેશોમાંથી પસાર થનારા હાઈવેનો મોટો હિસ્સો ભારતમાં જ્યારે નાનો હિસ્સો થાઈલેન્ડમાં : હાઈવેની લંબાઈ 2800 કિમીથી વધારે હશે
ખાસ-ખબર સંવાદદાતા
હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં ભારત અગાઉ ક્યારેય કલ્પના પણ કરી ન હોય તેવી ઝડપથી આગળ વધી રહ્યું છે. તેના કારણે જુદા જુદા એશિયન દેશો સાથે કનેક્ટિવિટીમાં સુધારો થઈ રહ્યો છે. આગામી સમયમાં તમે ભારતથી થાઈલેન્ડ સુધી કાર ચલાવીને જઈ શકશો. આ માટે કોલકાતાથી બેંગકોક સુધી હાઈવે બનાવવાનું કામ ચાલુ છે.
- Advertisement -
થાઈલેન્ડમાં આ હાઈવેનો મોટા ભાગનો હિસ્સો તૈયાર થઈ ગયો છે જ્યારે મ્યાનમાર અને ભારતમાં હાઈવેનું કામ હજુ બાકી છે. લગભગ ચાર વર્ષમાં આ હાઈવે ખુલી જવાની શક્યતા છે. ઇઈંખજઝઊઊં યોજનાના ભાગરૂપે ભારતને પૂર્વ એશિયાના દેશો સાથે જોડવા માટે હાઈવે તૈયાર કરવામાં આવશે. આ અંગે વિદેશ મંત્રાલયે યોજેલા એક કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી હતી જેમાં જુદા જુદા દેશો અને પ્રાંતના વાણિજ્ય મંત્રીઓ સામેલ હતા. ભારત અને થાઈલેન્ડ વચ્ચે ટ્રાઈલેટરલ હાઈવે બનાવવાનો પ્લાન છે. તે બેંગકોકથી શરૂ થઈને થાઈલેન્ડના સુખોથાઈ તથા મ્યાનમારના રંગુન, મેન્ડેલે, કેલાવા થઈને કોલકાતા સુધી પહોંચશે.
આ દરમિયાન તે મોરેહ, કોહિમા, ગુવાહાટી, શ્રીરામપુર, સિલિગુરીમાંથી પણ પસાર થશે. કોલકાતાથી બેંગકોક સુધીના હાઈવેની કુલ લંબાઈ 2800 કિમીથી વધારે હશે. આ હાઈવેનો સૌથી મોટો હિસ્સો ભારતમાં હશે જ્યારે સૌથી નાનો હિસ્સો થાઈલેન્ડમાં હશે. થાઈલેન્ડના વિદેશમંત્રીએ જણાવ્યું કે આ હાઈવેનો જે હિસ્સો થાઈલેન્ડમાં બનવાનો હતો તે તૈયાર થઈ ગયો છે. જ્યારે મ્યાનમારના મંત્રીએ જણાવ્યું કે તેઓ આગામી ત્રણ વર્ષમાં પોતાના ભાગનો હાઈવે બનાવી નાખશે. થાઈલેન્ડના મંત્રીએ જણાવ્યું કે હવે ભારત અને મ્યાનમાર કેટલી ઝડપથી કામ કરે છે તેના પર ઘણો આધાર રહેલો છે.