ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનાં યાજ્ઞિક રોડ પરના સર્વેશ્વર ચોકમાં વોંકળાનું કામ ચાલી રહ્યું છે. હવે યાજ્ઞિક રોડ હેઠળથી વોંકળાનું વહેણ પસાર કરવાનું છે ત્યારે તાજેતરમાં પોલીસ કમિશનરે ચાર મહિના માટે યાજ્ઞિક રોડ બંધ કરવા જાહેરનામુ બહાર પાડયું હતું. તેના પગલે હવે આ રોડ બંધ કરવા મનપાની તૈયારી પૂર્ણતાનાં આરે છે. જોકે, થોડી તૈયારી બાકી હોવાને અને ડો. આંબેડકર જયંતિને લઈ સરઘસ આ રોડ પરથી પસાર થવાનું છે. જેને લઈને હવે મંગળવારથી યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોકની બંને બાજુ 50-50 મીટર બંધ થવાની શક્યતા છે.
- Advertisement -
પ્રાપ્ત વિગત મુજબ સર્વેશ્વર ચોકનાં વોકળાની કામગીરી ચાલી રહી છે. જેમાં વોકળાનાં વહેણને યાજ્ઞિક રોડથી પસાર કરવા ચાર મહિના માટે સર્વેશ્વર ચોકની બંને બાજુ 50-50 મીટર યાજ્ઞિક રોડ ઇતિહાસમાં પ્રથમ વખત બંધ કરવાનો છે. અગાઉ શનિવારે યાજ્ઞિક રોડ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ રોડ બંધ કરીને કામ શરૂ કરવા માટે મનપાની કેટલીક તૈયારીઓ હજુ બાકી છે. એટલું જ નહીં આજે બંધારણનાં ઘડવૈયા ડો. આંબેડકરની જન્મજયંતિ છે. જેની ઉજવણી માટેનું વિશાળ સરઘસ પણ યાજ્ઞિક રોડ પરથી પસાર થવાનું છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને હાલ તો રોડ બંધ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે અને મંગળવારથી રસ્તો બંધ કરવામાં આવે એવી શક્યતા છે.
રાજકોટ મનપાનાં સિટી ઇજનેર અતુલ રાવલે આ અંગે મિડીયા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામું 8 એપ્રિલે મળ્યું હતું. બાદમાં સર્વેશ્વર ચોકની બંને બાજુ 50-50 મીટરનો યાજ્ઞિક રોડ બંધ કરવા માટે કોન્ટ્રાક્ટરને તૈયારી કરવા જણાવાયું હતું અને શનિવારથી જ રસ્તો બંધ કરવામાં આવનાર હતો પરંતુ, હજુ કેટલીક તૈયારી બાકી છે તેમજ આવતીકાલે આંબેડકર જયંતિનું એક વિશાળ સરઘસ પણ આ રોડ પરથી પસાર થવાનું છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને હાલ યાજ્ઞિક રોડ બંધ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે.
સંભવત: આગામી મંગળવારે પોલીસના જાહેરનામા મુજબ રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરવામાં આવશે.
દુકાનો અને શો-રૂમના માલિકોને આગામી 4 માસ મુશ્કેલી થઈ શકે
ઉલ્લેખનીય છે કે, વેપારીઓ, મનપા અને શાસકો વચ્ચે સંકલન બાદ શનિવારે મોડી રાત અથવા રવિવારથી આ રોડ બંધ કરવાનો હતો. પણ તેમાં વધુ એક મુદ્દત પડતા હવે મંગળવારથી સર્વેશ્વર ચોકની બંને તરફ યાજ્ઞિક રોડ બંધ થવાની શક્યતા છે. આ યાજ્ઞિક રોડ ઇતિહાસમાં પહેલીવાર બંધ થતો હોવાને લઈ વાહન ચાલકોને ઘણી અગવડતા પડે તેમ છે. તેમજ સર્વેશ્વર ચોક પાસે દુકાનો અને શોરૂમ ધરાવતા વેપારીઓને પણ આગામી 4 માસ અનેક મુશ્કેલીઓ થવાની છે. જોકે, નવા અને સલામત વોંકળા માટે તે જરૂરી છે. છતાં ચોમાસા પહેલા કામ પુરૂ નહીં થાય તો વાહન ચાલકોને અને સ્થાનિક વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડશે. તે ધ્યાનમાં રાખી તંત્રએ વહેલાસર કામ પુરૂ કરીને ડામર રોડ બનાવવાનો પ્લાન પણ બનાવ્યો છે.