શ્રાવણ માસ પૂર્વે જ ફૂલોના ભાવ આસમાને, ગુલાબના ફૂલ 400 રૂપિયે કિલો તો ભોળાનાથના પ્રિય બીલીપત્ર પણ મોંઘા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પવિત્ર શ્રાવણ માસની આજથી (5 ઓગસ્ટ) શરૂઆત થઈ છે. ત્યારે હિન્દુઓમાં શ્રાવણ માસનું અનેરું મહત્મ્ય છે. હિન્દુઓ માટે શ્રાવણ માસ એટલે ભગવાન શિવની આરાધનાનો મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં લોકો વહેલી સવારથી શિવાલય પહોંચી જાય છે અને દેવોના દેવ મહાદેવની પૂજા-આર્ચના કરી તેમને રીઝવવાના પ્રયાસો કરે છે. ત્યારે આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે. સમાન્ય દિવસોમાં જે ફૂલનો ભાવ 40થી 50 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા હતા તેના ભાવ હાલ રૂપિયા 300થી 400 પ્રતિ કિલોએ પહોંચ્યો છે. તેથી ભક્તોને આ વર્ષે શિવજીની આરાધના માટે ફૂલોમાં કાપ મૂકવો પડે તેવી પણ શક્યતા છે.
- Advertisement -
રાજકોટમાં કેસરી પૂલ પાસે ભરાતી ફૂલ બજારમાં સૌથી મોટા હોલસેલ ફૂલ બજારમાં શ્રાવણ મહિના પૂર્વે જ ફૂલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 40થી 50 કે 100 રૂપિયા કિલો મળતા ગુલાબના ફૂલ હાલ 300થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. આ ઉપરાંત ગલગોટા જે 30થી 40 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા તે અત્યારે 100થી 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તેમજ કેસરી ગલગોટાનો ભાવ 40થી 50 રૂપિયા પ્રતિ કિલો હતો તે હાલ 150થી 200 રૂપિયા પહોંચ્યો છે.
તો બીજી તરફ સુશોભનમાં અને પૂજાના હારમાં વપરાતા ફૂલ 80થી 100 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા તે હાલ 250થી 300 રૂપિયા કિલો મળી રહ્યા છે. ત્યારે લીલીના ફૂલ 500 રૂપિયા કિલો મળી રહ્યા છે. શ્રાવણ મહિનામાં ખાસ કરીને શિવજીને કમળના ફૂલ ચડાવવાનું મહત્વ રહેલું છે ત્યારે આ વખતે કમળના ફૂલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. 10 રૂપિયામાં બે કે ત્રણ કમળના ફૂલ મળતા હતા તે હાલ 10થી 15 રૂપિયામાં એક ફૂલ મળી રહ્યું છે.
સામાન્ય રીતે તહેવારોની સિઝનમાં ફૂલના ભાવ વધી જતા હોય છે. આ સાથે જ શ્રાવણ માસમાં શિવ પૂજામાં વપરાતા બીલીપત્ર પણ મોંઘા થયા છે. અનેક લોકો સંકલ્પ લેતા હોય છે કે, શ્રાવણ માસ દરમિયાન ભોળાનાથનો બીલીપત્રથી અભિષેક કરશે. તેવામાં આ વર્ષે સંકલ્પ વિચારીને લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, ફૂલ અથવા બીલીપત્રના ભાવ વધતા ભક્તોની ભક્તિમાં કામ મુકાશે નહીં પરંતુ મોંઘવારીની સાથે સાથે ભક્તોની ભક્તિ વધ વધી રહી છે. તેવામાં બીલીપત્રનો ભાવ હાલ 50 રૂપિયાની એક ઝુડી મળી રહી છે.