ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
“નારી તું નારાયણી, તું શક્તિ અપરંપાર”ના સૂત્ર સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જૂનાગઢ નવનિર્મિત નરસિંહ મહેતા સરોવર ખાતે એક નવતર અભિગમ સાથે મહિલા સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. વહેલી પરોઢે સરોવરના એન્ટ્રી ગેટ પાસે વિવિધ ક્ષેત્રની નામી-અનામી મહિલા શક્તિઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે સમાજને જીવંત રાખવામાં મહત્વનું યોગદાન આપનાર મહિલા ડોક્ટર્સ, રાજકીય આગેવાનો, મહિલા કોર્પોરેટરો, સરકારી અધિકારીઓ, ટ્રાફિક બ્રિગેડના જવાનો, શિક્ષિકાઓ તેમજ સ્વચ્છતા સૈનિક બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તમામ મહિલાઓને ગુલાબનું પુષ્પ અને મનપા દ્વારા તૈયાર કરાયેલ વિશેષ બેજ અર્પણ કરી અનોખી રીતે મોં મીઠું કરાવાયું હતું. આ સન્માન સમારોહમાં ડો. શ્રુતિબેન તેજસભાઇ પરમાર, જ્યોતિબેન વાછાણી, મહિલા મોરચાના પ્રભારી જ્યોતિબેન વાડોલિયા, પ્રમુખ આરતીબેન જોશી, ડો. કિંજલબેન સતાશિયા સહિતના અગ્રણીઓ અને મનપાના મહિલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે સરોવર ખાતે મોર્નિંગ વોક અને યોગ માટે આવતી મહિલાઓએ પણ આ આકસ્મિક સન્માનને અંત:કરણ પૂર્વક વધાવી લીધું હતું. આ કાર્યક્રમ દ્વારા શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓના ભગીરથ ફાળાને બિરદાવવામાં આવ્યો હતો.



