સૌથી વધુ નારાજ નીતિન પટેલ એકદમ ચૂપ થઈ ગયા : સમર્થકો, મીડિયા કે કાર્યકરોને મળવાનું ટાળી પરિવાર અને અંગત વ્યક્તિઓ સાથે સમય પસાર કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ભાજપમાં નવી સરકારની રચનાના મુદ્દે ભડકા જેવી સ્થિતિ ઊભી થઈ છે, એ સંજોગોમાં પૂર્વ મંત્રીઓની નારાજગીની ચાલી રહેલી ચર્ચા વચ્ચે કાલે આખો દિવસ નારાજ નીતિન પટેલ ઘરમાં જ બેસી રહ્યા હતા, અને કોઈ વિવાદ કે નારાજગીની રજૂઆત કરવા જાહેરમાં ના આવતાં ભાજપના નેતાઓમાં અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.
મંગળવારે વહેલી સવારથી નવા મંત્રીમંડળની રચના અંગે ચાલી રહેલી અટકળોમાં તમામ મંત્રીઓને પડતા મૂકવાની ગંભીર ચર્ચા બાદ કેટલાક સિનિયર મંત્રીઓ ગઈકાલે આખો દિવસ વિવિધ નેતાઓ અને રાષ્ટ્રીય આગેવાનો સુધી રજૂઆતો કરી રહ્યા હતા, આ દરમિયાન નીતિન પટેલે પણ નારાજ મંત્રીઓના જૂથમાં જોડાવવાને બદલે કાલે દિવસ દરમિયાન પોતાના અમદાવાદ અને ગાંધીનગરના નિવાસસ્થાને જ બેસી રહ્યા હતા. એટલું જ નહીં, મીડિયા અને ભાજપના નેતાઓ, સમર્થકોથી પણ અંતર બનાવી રાખ્યું હતું, મોડી સાંજે નીતિન પટેલ અમદાવાદના નિવાસસ્થાને આવીને પરિવાર અને કેટલાક અંગત લોકો સાથે રહ્યા હતા.
ગઈકાલે આખો દિવસ નીતિન પટેલ ચહલપહલમાં સામેલ ના થતાં અને કોઈ નેતા કે આગેવાનોને પણ મળવા ના આવતાં અફવાઓ અને અટકળોએ જોર પકડ્યું હતું કે નીતિન પટેલ બળવાના મૂડમાં છે અને 12થી 14 ધારાસભ્યો સાથે સંપર્કમાં છે.
- Advertisement -
અન્ય પાટીદાર ધારાસભ્યને ઈખ બનાવાતાં નીતિન પટેલ નારાજ
ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના રાજીનામા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રીનો તાજ પહેરાવવામાં આવે એવી અટકળો ચાલી રહી હતી, એ જ સમયે નીતિન પટેલના બદલે અન્ય પાટીદાર ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવતાં નીતિન પટેલ નારાજગી સાથે ધૂંવાંપૂંવાં થઈ ગયા હતા, પરંતુ નારાજગી જાહેરમાં વ્યક્ત કરવાને બદલે પક્ષના મોવડીઓ સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી. હાઇકમાન્ડનો નિર્ણય હોવાનું જાણ્યા પછી નીતિન પટેલ એકદમ ચૂપ થઈ ગયા હતા.
‘અર્જુન’ને નિ:સંકોચ યુદ્ધ કરવું પડશે: શંકરસિંહ વાઘેલા
- Advertisement -
ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના શપથ પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર પર ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે, આજની રાજનીતિ મહાભારતથી ઓછી નથી. પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન પર આંચ આવે તો પોતાના જ પરિવારના કૌરવો સાથે લડવું જ સાચો ધર્મ અને કર્મ છે. આ ધર્મ યુદ્ધ માત્ર સ્વાભિમાનની રક્ષા માટે નથી, પરંતુ સમગ્ર પ્રદેશના કલ્યાણ માટે છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ આવશે ત્યારે ‘અર્જુન’ને નિ:સંકોચ યુદ્ધ કરવું પડશે.