કોઈ એક વિદ્વાને એવું નક્કી કર્યું કે, ‘મારે ભગવાનને જાણવા છે.’ એણે પુસ્તકો વાંચવાની શરૂઆત કરી. ખૂબ વાંચ્યું, દિવસ-રાત વાંચ્યું. ભગવાન વિષે જે જે લખાયું હતું, અને જ્યાં જ્યાં લખાયું હતું તે બધું જ વાંચ્યું. લોકો તો એના પગે પડે કારણ કે એ જ્યારે ભગવાન પર બોલે ત્યારે જાત જાતના સંદર્ભ આપીને બોલે. વિશ્વના જુદાં જુદાં ધર્મના શાસ્ત્રોના આધારે વાત કરે. લોકો એને પૂજતા. એના પગે પડતા. એની વિદ્વતાની વાતો બધાં કરતા. પરંતુ વાસ્તવિકતા તો એ હતી કે એને એમ જ લાગતું હતું કે, ‘હું ભગવાન વિષે કંઈ જાણતો નથી. મને કંઈ અનુભવાતું જ નથી. આટલા બધાં પ્રયાસ પછી પણ હું કેમ ભગવાન વિષે કંઈ નથી જાણી શક્યો ? મારે જીવવું જ નથી. બસ મરી જવું છે.’ એમ વિચારીને એ સમુદ્રમાં પડીને પોતાનો જીવ આપી દેવા માટે ઘેરથી નીકળી ગયો. સમુદ્ર કિનારે પહોંચ્યો ત્યાં એણે એક નાના બાળકને રડતાં જોયો. એ બાળક પાસે ગયો અને બાળકને રડવાનું કારણ પૂછ્યું. પેલા બાળકે પોતાની પાસેનો નાનો ગ્લાસ બતાવીને કહ્યું, મેં ઘેર બધાંને કહ્યું છે કે, હું આ ગ્લાસમાં સમુદ્ર ભરી લાવીશ. પણ અહીં આવીને પ્રયાસ કરું છું. સમુદ્ર મારા ગ્લાસમાં ભરાતો જ નથી ! પેલા વિદ્વાન માણસની આંખ ખૂલી ગઈ અને એ નાચવા લાગ્યો. આત્મહત્યા તો બાજુમાં રહી, કોઈ અપરિચિત આનંદથી એનું હૈયું તરબતર થઈ ગયું. આપણે પણ આ બાળક જેવા અણસમજું છીએ. સમુદ્ર જેવા ભગવાનને આપણા કહેવાતા જ્ઞાનના નાનકડા પ્યાલામાં ભરવાનો મિથ્યા પ્રયાસ કરીએ છીએ. ભગવાનને જાણવાને બદલે જો માણવાનો પ્રયાસ કરીએ તો પેલા વિદ્વાન જેવા આનંદથી આપણે હૃદયને ભરી શકીશું.
ધર્મનો ક્રિયાકાંડ કદી પરમતત્ત્વને પામી કે સમજી શકતો નથી
- Advertisement -
– ઉસનન