શ્રધ્ધા અને વિશ્વાસનો ઉત્સવ એટલે જગન્નાથ રથયાત્રાનો ઉત્સવ
રથયાત્રા ભક્તિ પરંપરા અને આધ્યાત્મિક ઊર્જાનું મહત્વપૂર્ણ પ્રતિક
- Advertisement -
રથયાત્રા 2025: જગન્નાથ રથયાત્રા હિંદુ ધર્મનો વિશ્વપ્રખ્યાત અને ભવ્ય ઉત્સવ છે, જે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની રથયાત્રા તરીકે ઉજવાય છે. આ યાત્રા ભક્તિ, પરંપરા અને આધ્યાત્મિક ઊર્જાનું મહત્વપૂર્ણ પ્રતિક છે.
જગન્નાથ રથયાત્રા પુરી, ઓડિશામાં આયોજિત વિશ્વપ્રખ્યાત ધાર્મિક ઉત્સવ છે. હિંદુ કેલેન્ડર અનુસાર અષાઢ માસની શુક્લપક્ષની દ્વિતિયા તિથિએ શરૂ થતી આ યાત્રા 2025માં 27 જૂનથી શરૂ થશે અને 9 દિવસ સુધી ચાલશે. માન્યતા છે કે રથયાત્રામાં ભાગ લેતા ભક્તોને પાપોથી મુક્તિ મળે છે અને ભગવાન જગન્નાથના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
એક પ્રસંગ મુજબ, સુભદ્રાજી નગર ભ્રમણ કરવા ઈચ્છતા હતા, જેથી ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બલભદ્ર સાથે રથમાં નિકળીને પુરી નગરમાં વિહાર કરે છે. આ યાત્રા માટે ભગવાનના રથો અક્ષય તૃતીયાના શુભ દિવસે તૈયાર થવા લાગે છે. ખાસ વાત એ છે કે લીમડાના લાકડામાંથી બનેલા આ રથોમાં એકપણ લોખંડ કે ખીલોનો ઉપયોગ કરવામાં આવતો નથી.
- Advertisement -
રથયાત્રા પહેલા શું કરવામાં આવે?
યાત્રા દરમિયાન પુરીના ગજપતિ મહારાજ સોનાની સાવરણીથી માર્ગ સાફ કરે છે – આ વિધિ બે વખત થાય છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા યાત્રા દરમિયાન 7 દિવસ સુધી ગુંડિચા મંદિરમાં રહે છે, જેને તેમનું કાકીનું ઘર ગણવામાં આવે છે. આ યાત્રા ભક્તિ, એકતા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે, જેમાં લાખો ભક્તો પુરી પહોંચીને રથ ખેંચવાનો પુણ્યલાભ મેળવે છે.
અમદાવાદની રથયાત્રાનું મહત્વ
અમદાવાદનું જગન્નાથ મંદિર પણ ઘણી મહત્વપૂર્ણ પરંપરાઓ ધરાવે છે. સાબરમતી નદી પાસે જમાલપુર ખાતે આવેલ આ મંદિર આશરે 400 વર્ષ જૂનુ છે. હનુમાનદાસજીએ મંદિરની સ્થાપના કરી હતી અને બાદમાં સારંગદાસજીએ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ સ્થાપી હતી. રથયાત્રાની પરંપરા લગભગ 145 વર્ષ અગાઉ નૃસિંહદાસજીએ શરૂ કરી હતી. આજે મંદિરના મુખ્ય મહંત દિલિપદાસજી છે. પુરી બાદ અમદાવાદની રથયાત્રાને દેશની બીજી સૌથી મોટી રથયાત્રા ગણવામાં આવે છે.
દેવતાઓની મૂર્તિઓ કેવી રીતે બને છે?
મંદિરની સૌથી વિશિષ્ટ બાબત એ છે કે અહીંની ત્રણેય દેવતાઓની મૂર્તિઓ લાકડામાંથી બનેલી છે. દર 12 વર્ષે પવિત્ર વૃક્ષના લાકડાથી નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે. વેદોના આધારે ભગવાન બલભદ્ર ઋગ્વેદ, શ્રીહરી સામવેદ, સુભદ્રા યજુર્વેદ અને સુદર્શન ચક્ર અથર્વવેદના પ્રતીક છે. ચારેય દ્વાર પર હનુમાનજી બિરાજે છે, જે મંદિરની રક્ષા કરે છે.
દર વર્ષે રથયાત્રાના સમયે ભક્તોને પ્રસાદીમાં માલપુઆ આપવામાં આવે છે. આ પરંપરા લાંબા સમયથી ચાલી રહી છે અને આજે પણ તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ કાળી રોટી અને સફેદ દાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરી હતી. તેનો હેતુ ભક્તોને અને ગરીબોને સાત્વિક ભોજન કરાવવાનો હતો. કાળી રોટી એટલે કે માલપુઆ. આજે પણ જ્યારે ભક્તો નિજમંદિરે દર્શનાર્થે આવે છે ત્યારે તેમને આ ખાસ પ્રસાદ આપવામાં આવે છે.
માલપુઆના પ્રસાદને લઈને રોચક કથા જોડાયેલી છે
અમદાવાદને લઈને માન્યતા છે કે અહીંના ગીતા મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો કિલોમીટરો દૂરથી આવ્યા અઅને અહીં કોઈ ભૂખ્યું રહે તે મહંત નરસિંહદાસજીને મજૂર ન હતું. આ માટે તેઓએ રસોઈયાને આદેશ આપ્યા કે કોઈ ભક્ત ભૂખ્યો ન રહેવો જોઈએ. આ આદેશનું પાલન કરતા રસોઈયાએ તરત જ માલપુઆ, બૂંદી અને ગાંઠિયા બનાવી લીધા. આ દિવસથી આ મંદિરે આ પરંપરા ચાલી રહી છે. કોઈ ભક્ત અહીંથી ભૂખ્યો જતો નથી અને આ પ્રસાદ મેળવનાર ભક્ત પોતાને ધન્ય માને છે.
આ કારણે ભગવાનની મૂર્તિઓ અધૂરી રહી ગઈ
એક દંતકથાનુસાર, જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાનની મૂર્તિઓ બનાવવાનું કામ વિશ્વકર્માને સોંપ્યું ત્યારે તેમણે શરત મુકી કે દરવાજો ખુલશે નહીં ત્યાં સુધી તેઓ બહાર નહીં આવે. એક દિવસ અવાજ બંધ થતાં રાજાએ દરવાજો ખોલી દીધો અને વિશ્વકર્મા ભગવાન ગાયબ થઈ ગયા. પરિણામે, દેવતાઓની મૂર્તિઓ અધૂરી રહી ગઈ અને આજ સુધી તે જ સ્વરૂપે પૂજાય છે. આ રીતે જગન્નાથ રથયાત્રા માત્ર ધાર્મિક જ નહીં પણ સાંસ્કૃતિક વારસાની પણ નોંધપાત્ર ઉજવણી છે.