કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની એક કરોડનું ઈનામ આપવાની જાહેરાત
જો કોઈ પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરશે તો તેને એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. ક્ષત્રિય કરણી સેના દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ક્ષત્રિય કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજ શેખાવતે ગોગામેડીની હત્યા માટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પર આરોપ લગાવતાં આ ઘોષણા કરી છે.
- Advertisement -
ગુજરાતનાં રહેવાસી શેખાવતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવા બદલ ઈનામની જાહેરાત કરતાં જોવા મળે છે. તે કહે છે, ’હું માત્ર એટલું જ જાણું છું કે આપણી ધરોહર, સૌથી આદરણીય અમર શહીદ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા લોરેન્સ બિશ્નોઈ દ્વારા કરવામાં આવી હતી.
લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીને કરણી સેના દ્વારા 1 કરોડ, 11 લાખ, 11 હજાર અને 111 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. આપણને અને દેશવાસીઓને ભયમુક્ત ભારતની જરૂર છે, ભયભીત ભારતની નહીં.શેખાવતે પોતાનાં એક્સ હેન્ડલ પર લખ્યું છે કે, ’ક્ષત્રિય કરણી સેનાની કેન્દ્ર સરકાર પાસે માંગ છે કે લોરેન્સ બિશ્નોઈનું શક્ય તેટલું જલ્દી એન્કાઉન્ટર કરવામાં આવે.’ ગયાં વર્ષે કરણી સેનાનાં પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની તેમનાં ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. 5 ડિસેમ્બર, 2023 ના રોજ, હુમલાખોરો રાજસ્થાનના જયપુરમાં તેમનાં ઘરે તેમને મળવાનાં બહાને આવ્યાં હતાં અને વાતચીત દરમિયાન અચાનક ગોળીબાર કરીને ગોગામેડીની હત્યા કરી હતી. આ હત્યાકાંડની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી.
લોરેન્સ બિશ્નોઈ ગેંગના મહત્વના સભ્ય ગોલ્ડી બરારે એક ટીવી ચેનલને આપેલાં ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ગોગામેડી તેમનાં કામમાં અવરોધ ઉભો કરી રહ્યાં છે. ગોગામેડીને 2-3 વખત ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ જો તે રાજી ન થયાં તો તેને ગોળી મારી દેવી પડી હતી. રોહિત રાઠોડ અને નીતિન ફૌજી નામનાં બે શૂટરોએ ગોગામેડીની હત્યા કરી હતી અને બંનેની ધરપકડ કરવામાં આવી હતી. હવે ક્ષત્રિય કરણી સેનાએ લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટરની માંગ કરી છે. બિશ્નોઈ હાલ ગુજરાતની જેલમાં બંધ છે.