ટેબ્લોના માધ્યમથી સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સહિત યજ્ઞસેવા-વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું
વેશભૂષા થકી રામ-લક્ષ્મણ-જાનકી, કૃષ્ણ-અર્જૂન સહિતના પૌરાણીક પાત્રોને તાદ્રશ્ય કરતા વિદ્યાર્થીઓ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.7
સંસ્કૃત ભાષાને વધુ લોકપ્રિય બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યભરમાં 06 ઓગસ્ટ થી 08 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે. આ ઉપક્રમે વેરાવળ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટાવર ચોક થી સંસ્કૃત યુનિવર્સિટી સુધીની ’સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ હતી. ’સંસ્કૃત ગૌરવ યાત્રા’માં ટેબ્લોના માધ્યમથી સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સહિત યજ્ઞસેવા-વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું હતું તેમજ વિદ્યાર્થીઓએ યાત્રામાં પૌરાણિક પાત્રો રામ-લક્ષ્મણ-જાનકી, નારદમૂની, અર્જૂન, શ્રીકૃષ્ણ સહિતની વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિના પાત્રોને તાદ્રશ્ય કર્યા હતાં. તદુપરાંત વિદ્યાર્થીઓએ બેનર્સના માધ્યમથી ’સંસ્કૃત ભાષા, સરળ ભાષા’, ’સત્યમ શિવમ સુન્દરમ’, ’રાષ્ટ્રની આત્મા, સંસ્કૃત ભાષા’, ’બહુજન હિતાય બહુજન સુખાય’, ’જીવનનું સૌંદર્ય સંસ્કૃત છે’ વગેરે સૂત્રોના માધ્યમથી ’જ્યાં સંસ્કૃત ત્યાં સંસ્કૃતિ’નો સંદેશ આપ્યો હતો. આ યાત્રામાં ડી.જે.ના માધ્યમથી ’પઠત્ સંસ્કૃતમ્, વદત્ સંસ્કૃતમ્’, ’જયતુ સંસ્કૃતમ્’ સહિતના સંસ્કૃત શ્લોક અને ગીતોના માધ્યમથી સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.