‘હે મારી માતા-બહેનો મંદિરો અને કથાઓમાં ના જશો તે શોષણનાં ઘર છે..’ ગોપાલ ઈટાલિયાનો વિડીયો વાયરલ
ગોપાલ ઈટાલિયાની માનસિકતા છતી કરતાં એક પછી એક વિડીયો સામે આવી રહ્યાં છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા મહિલાઓ અને બહેનોને મંદિરો અને કથાઓમાં જવાનું એક કારણ રજૂ કરીને ટાળવા માટે કહી રહ્યા છે. તેમણે કહેલી વાત વિડીયો સ્વરૂપે વાયરલ થઈ રહી છે. આ બાબતે ભાજપ દ્વારા તેમને ઘેરીને આપ તથા અરવિંદ કેજરીવાલનો ચહેરો ખુલ્લો પડી રહ્યો હોવાની વાત કહેવામાં આવી રહી છે. ગોપાલ ઈટાલિયાનો ‘સી’ શબ્દવાળો અને વડાપ્રધાન મોદી પર અપમાનજનક ટિપ્પણી કરતો વિડીયો પણ અગાઉ વાયરલ થયો હતો.
હવે જ્યારે ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાર્ટીઓ વચ્ચે જાણે યુદ્ધ છેડાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘નીચ’ શબ્દોનો પ્રયોગ કરાયેલો વિડીયો વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તેઓ હિન્દુ મહિલાઓને મંદિર અને કથાઓમાં ના જવાની વાત કહી રહ્યા છે. તેમણે આ જગ્યાઓને શોષણનું ઘર ગણાવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ જે વાત કહી છે તે સોશિયલ મીડિયામાં વિડીયો સ્વરૂપે વાયરલ થઈ રહી છે. હવે આ મામલે ભાજપ દ્વારા આપ પાર્ટીનો અને અરવિંદ કેજરીવાલનો ચહેરો ખુલ્લો પડી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ગોપાલ ઈટાલિયાના વાયરલ થયેલા વિડીયો પર ભાજપના નેતાઓ કહે છે કે અહીં ગોપાલ ઈટાલિયાનો તથા અરવિંદ કેજરીવાલનો અસલી ચહેરો સામે આવ્યો છે. ભાજપના સોશિયલ મીડિયા સેલના અધ્યક્ષ અમિત માલવિયાએ ગોપાલ ઈટાલિયાનો વિડીયો શેર કરીને ટ્વિટ કર્યું છે, અમિત માલવિયા કહે છે કે, “મહિલાઓનું સન્માન ઘવાય તે રીતે ‘સી’ શબ્દનો ઉપયોગ કર્યા પછી ગુજરાત આપના અધ્યક્ષ અને અરવિંદ કેજરીવાલના નજીકના ગણાતા ગોપાલ ઈટાલિયાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં તેઓ મહિલાઓને કથાઓ અથવા તો મંદિરમાં ના જવાની સલાહ આપી રહ્યા છે, તેઓ આ જગ્યાઓને શોષણનું ઘર હોવાનું કારણ આપી રહ્યા છે.”
- Advertisement -
દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના સાંસદ મનોજ તિવારી આ મુદ્દે કહી રહ્યા છે કે, “શા માટે આપ હિન્દુ વિરોધી છે? જુઓ કઈ રીતે અરવિંદ કેજરીવાલના સાથી હિન્દુત્વ સામે ઝેર ઓકી રહ્યા છે.” અન્ય દિલ્હીના લોકસભાના સાંસદ પ્રવેશ વર્મા કહે છે કે, “આપના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા રામ મંદિરના બાંધકામ સામે વાંધો ઉઠાવી રહ્યા છે, રાજેન્દ્ર પાલે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે અને હવે અઅઙ ગુજરાતના અધ્યક્ષ કહી રહ્યા છે કે મંદિરોના સ્થળે શોષણ થાય છે.”
મંગળવારે સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો વાયરલ થવાનો શરુ થયો છે, જેમાં ગોપાલ ઈટાલિયા હાથમાં એક પુસ્તક લઈને દેખાઈ રહ્યા છે, અને તેઓ કહી રહ્યા છે કે, “મારી-તમારી માતા-બહેનોને પણ વિનંતી કરવી જોઈએ.. હે મારી માવડિઓ, હે મારી બહેનો, હે મારી દીકરીઓ, કથાઓમાં કે મંદિરોમાં તમારું કશું વળવાનું છે નહીં, એ શોષણના ઘર છે. જો તમારે તમારો અધિકાર જોઈતો હોય, આ દેશ ઉપર તમારે શાસન કરવું હોય, સમાન દરજ્જો જો’તો હોય તો કથાઓમાં જઈને નાચવાના બદલે મારી બહેનો, મારી માવડીઓ આ વાંચો.”
અગાઉ એક વિડાયો વાયરલ થયો હતો કે જેમાં ગોપાલ ઈટાલિયાએ વડાપ્રધાન મોદી માટે અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘નીચ’ વ્યક્તિ છે. હું એ વાતની પુષ્ટી નથી કરી શકતો પરંતુ તમને પૂછવા માગું છું, શું દેશના એવા કોઈ પૂર્વ વડાપ્રધાન છે કે જેમણે મતદાન કરતી વખતે આટલું નાટક કર્યું હોય?”
મંદિર-કથા માટે આ પ્રકારના શબ્દ પ્રયોગ સારા નથી: હર્ષ સંઘવી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગોપાલ ઇટાલિયાના જૂના વીડિયો વાયરલ થતાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના વાયરલ વીડિયો મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, એક પાર્ટીના નેતાના વીડિયો સામે આવી રહ્યા છે. ખૂબ દુ:ખ થાય. મંદિર-કથા માટે આ પ્રકારના શબ્દ પ્રયોગ સારા નથી. આવા સંસ્કાર ગુજરાતના નાગરિકોમાં નથી. મંદિરમાં ન જજો, કથામાં ન જતા આ પ્રકારના વીડિયો જોઈ દુ:ખ થાય. તેમણે કહ્યું કે, આ પ્રકારની વિચારધારા ન હોવી જોઈએ. લોકોમાં મોટા પાયે રોષ છે. કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી. આ પ્રકારના બેફામ લવારા કરવા યોગ્ય છે ? આ વિચારો લોકો સુધી જાય એ પોષાય એમ નથી. એમની જ પાર્ટીના લોકો સોશિયલ મીડિયામાં લખે છે એ પર્સનલ વિચાર છે. એવો સમય આવ્યો છે કે એમની પાર્ટીએ એમના પરથી હાથ ધોઈ લેશે.