ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી તરઘડીયાની યાદીમાં જણાવ્યા અનુસાર રાજકોટ જીલ્લામાં તા.૧૬-૦૬-૨૦૨૧ થી તા.૨૦-૦૬-૨૦૨૧ દરમ્યાન હવામાન સૂકું, ગરમ અને વાદળછાયું રહેશે.
આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૭-૩૯ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૭-૨૮ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૬૮-૭૧ અને ૩૮-૪૭ ટકા રહેશે. પવનની દિશા નૈઋત્ય અને પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૨૧ થી ૩૦ કીમી/કલાક રહેવાની શક્યતા છે.
- Advertisement -
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ખેતી કાર્યો અને ખેત પેદાશના વેચાણ અને બીજ, ખાતર અને દવાઓની ખરીદી દરમ્યાન મોં પર કપડું (માસ્ક) બાંધી રાખવું અને બે વ્યક્તિ વચ્ચે ૬ થી ૭ ફૂટ અંતર જાળવવું. જમીન જન્ય રોગનો ઉપદ્રવ થાય નહિ તે માટે દરેક પાકના બીજને મેન્કોઝેબ અથવા થાયરમ અથવા વીટાવેક્ષ પૈકી કોઈ એક દવાનો ૨-૨.૫ ગ્રામ પ્રતિ કિલો મુજબ પટ આપવો. કઠોળ વર્ગના પાકોના બીજને પ્રવાહી રાહીઝોબીયમ અને પી.એસ.બી. જૈવિક ખાતરના કલ્ચરનો ૧૦-૧૫ મી.લી. પ્રતિ કિલો બીજ મુજબ પટ આપવો. જો ફૂગનાશક દવાનો પટ આપેલ હોય તો જૈવિક ખાતરનું પ્રમાણ બમણું રાખવું. જે વિસ્તારમાં વાવણી થઇ ગયેલ હોય ત્યાં નિંદામણ દુર થાય અને જમીનમાં ભેજ જળવાય રહે તે માટે વાવેતર કરેલ પાકમાં આંતરખેડ કરવી હિતાવહ છે.


