આદિ શંકરાચાર્ય કહી ગયા છે : “બ્રમ સત્ય જગત મિથ્યા “આપણે સહુ આ સૂત્રનું પોપટિયું રટણ કરીએ છીએ, પરંતુ તેને જીવનમાં ઉતારતા નથી. શ્રીરામકૃષ્ણ પરમહંસ એક ખેડૂતની વાત કરતા હતા. એક ખેડૂત તેની પત્ની સાથે આનંદપૂર્વક રહેતો હતો. તેને એક જ પુત્ર હતો જે પતી-પત્નીને જીવ કરતા પણ વધારે વ્હાલો હતો. એક દિવસ પ્લેગની મહામારીમાં તે દીકરો મૃત્યુ પામ્યો. ખેડૂત સ્વસ્થ રહીને પુત્રના મૃત્યુનો આઘાત જીરવી ગયો. તેની પત્ની હૈયાફાટ રુદન કરતા કરતા તેને ઠપકો દેવા લાગી, “તમે કેવા નિષ્ઠુર પિતા છો? આપણો એક માત્ર દીકરો મૃત્યુ પામ્યો તો પણ તમારી આંખમાં આંસુ નથી આવતા.
” ખેડૂતે જવાબ આપ્યો, “ગઈ કાલે રાત્રે મને સપનું આવ્યું હતું. તેમાં આપણા આઠ પુત્રો હતા. તે પછી આજે દિવસ દરમ્યાન આપણો એક પુત્ર મૃત્યુ પામ્યો. હવે તું જ કહે કે હું આપણા આઠ પુત્રોના જન્મની ખુશી માનવું કે એક પુત્રના મૃત્યુનો શોક મનાવું?” ખેડૂત ગરીબ હતો, અભણ હતો, પરંતુ વેદાંત પચાવીને જીવતો હતો. તે જાણતો હતો કે જેવી રીતે સ્વપ્ન મિથ્યા છે તે રીતે જાગ્રત અવસ્થા પણ મિથ્યા છે. આપણે આ માયારૂપી જગતના મંચ ઉપર આપણું પાત્ર ભજવવા માટે આવ્યા છીએ. સ્ક્રિપ્ટ રાઈટર પરમાત્માએ આપણા માટે જે ભૂમિકા લખી છે, જે સંવાદો લખ્યા છે અને જે સુખ કે દુ:ખ રચ્યા છે તે આપણે સાક્ષીભાવે જીવી જવાના છીએ. જ્યારે પડદો પડે ત્યારે આપણી એક્ઝિટ સ્વીકારી લેવાની છે.