મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કલેક્ટરોને આદેશ: ચોમાસા પહેલા જળસંચયના કામો પૂર્ણ કરવા રૂ. 553 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં આગામી ચોમાસા પૂર્વે જળસંચયની કામગીરીને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા માસ્ટરપ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સમાં ’જળસંચય જન ભાગીદારી 2.0’ અભિયાનની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, જૂના બોરવેલ રિચાર્જ કરવા માટે થતા ખર્ચની 90% રકમ કેન્દ્ર સરકાર ભોગવશે.
વડાપ્રધાનના ’કેચ ધ રેઈન’ અભિયાનને સફળ બનાવવા કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ. 553 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવી છે. મુખ્યમંત્રીએ આ રકમનો ઉપયોગ માર્ચ 2026 પહેલા પૂર્ણ કરવા અને દરેક ધારાસભ્યને ફાળવાયેલી રૂ. 50 લાખની ખાસ ગ્રાન્ટનો જળસંચયના કામોમાં સદુપયોગ કરવા જિલ્લા પ્રશાસનને તાકીદ કરી છે. દેશભરમાં 31 મે, 2026 સુધીમાં 1 કરોડ વોટર હાર્વેસિ્ંટગ સ્ટ્રક્ચર બનાવવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાતની ભૂમિકા અત્યંત મહત્વની રહેશે.
ગુજરાતમાં જળસંચયના પ્રથમ ચરણમાં અત્યાર સુધીમાં 1,33,522 જેટલા કામો પૂર્ણ થયા છે. જેમાં મુખ્યત્વે ખેત તલાવડીઓ, ટ્યુબવેલ રિચાર્જ અને તળાવો ઊંડા ઉતારવાનો સમાવેશ થાય છે. બનાસકાંઠા, કચ્છ અને રાજકોટ જેવા અછતગ્રસ્ત જિલ્લાઓએ આ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી છે. ’વિકસિત ભારત ગેરેન્ટી ફોર રોજગાર’ યોજના હેઠળ મળતા ફંડમાંથી 40% રકમ જળસંચયના કામોમાં વાપરવાની જોગવાઈનો પણ મહત્તમ લાભ લેવા કલેક્ટરોને સૂચના અપાઈ છે.
મુખ્યમંત્રીએ આ અભિયાનમાં ગૠઘ અને લોકભાગીદારી વધારવા પર ભાર મૂક્યો છે. શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લાઓ વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થાય તે માટે તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. આ અભિયાનથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, જે કૃષિ ઉત્પાદકતા વધારવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં પાયાનું પગલું સાબિત થશે.



