મહાનગરપાલિકાનું રૂ. 2 કરોડના ખર્ચે વઢવાણનો વિકાસ કરવાનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
સુરેન્દ્રનગર અને વઢવાણ એ સૌરાષ્ટ્ર અને કચ્છનું પ્રવેશદ્વાર છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જતા લોકોને અહીયાની હદમાંથી જ પસાર થવું પડે છે. બંને પ્રાંતમાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જાય છે ત્યારે ઐતિહાસિક ધરોહર ધરાવતા વઢવાણમાં આજે પણ અનેક ઐતિહાસિક સ્માકરો આવેલા છે. આ સ્મારકો વિકાસ કરીને વઢવાણને રાજસ્થાનના જેસલમેરની જેમ હેરીટેજ સિટી તરીકે વિકાસ કરવાનું મહાનગર પાલિકા દ્વારા આયોજન કરાયું છે. ઐતિહાસિક નગરી વઢવાણમાં પુરાતત્વથી રક્ષિત અનેક સ્માકરો આવેલા છે. પરંતુ વર્તમાન સમયે આ સ્થળોની હાલત ખરાબ છે. સફાઇ અને જાળવણીના અભાવે સ્મારકો ખંડેર બની રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર મનપાના કમિશનર નવનાથ ગવહાણે દ્વારા વઢવાણનો રૂ.2 કરોડના ખર્ચે વિકાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે વધુ વિગતો આપતા કમિશનર નવનાથ ગવાહાણેએ જણાવ્યું કે વઢવાણને હેરીટેજ સિટી તરીકે વિકસાવવા માટે બજેટમાં રૂપિયાની ફાળવણી કરાઈ છે. હાલ તેનો સર્વે ચાલી રહ્યો છે. હેરીટેજ માટે કામ કરતી નિષ્ણાંત એવી ઇન્ટાસ કંપનીને કામ સોંપવામાં આવ્યું છે.
- Advertisement -
ઐતિહાસિક સ્થળોની સાફ સફાઇને સાથે કેવી રીતે મરમ્મત કરવી તેનો પ્લાન પણ આ કંપની બનાવશે. ઐતિહાસિક સ્મારકોનું સુશોભન કરીને લાઇટિંગ પણ કરાશે. જેથી કરીને પ્રવાસીઓ માટે વઢવાણ એ આકર્ષણનું કેન્દ્ર બને. વઢવાણમાં આવનાર પ્રવાસીઓના ખાવા પીવા માટે એક ફૂડ મોલ પણ બનાવવામાં આવશે. જેમાં અહિયાની પ્રખ્યાત વસ્તુઓની સાથે બીજી ઘણી બધી વાનગીની પણ મજા લઇ શકશે. વઢવાણને ઐતિહાસિક શહેર તરીકે વિકસાવવા માટે એક કમિટીની પણ રચના કરાશે. જે લોકો પાસેથી કેવી રીતે બેસ્ટ વિકાસ થઇ શકે તેના સૂચનો મેળવીને દેખરેખ પણ રાખવાની જવાબદારીની સેવા લેવામાં આવશે. ઇતિહાસને ઉજાગર કરવા ગાઇડની વ્યવસ્થા થશે વઢવાણ શહેરની શેરીએ શેરીએ ઉજળો અને ગૌરવવંતો ઇતિહાસ સંઘરાયેલો છે. પરંતુ તેની જાણકાર ખૂબ ઓછા લોકોને છે. પરંતુ ઇતિહાસને ઉજાગર કરવા માટે મનપા ગાઇડની પણ વ્યવસ્થા કરશે. જે પ્રવાસીઓને વઢવાણના જુદા જુદા સ્થળોનો ઇતિહાસ પણ સમજાવશે. બાંધણી, ટાંગલીયા, કંસારા બજાર હાટ ઊભા થશે મહાનગર પાલિકા દ્વારા ઔતિહાસિક સ્થળોના વિકાસની સાથે ખાસ કરીને વઢવાણના ઉદ્યોગોની જે આગવી ઓળખ છે જેમ કે કંસારા કારીગરો, બાંધણી અને ડ્રેસ ઉદ્યોગ, ટાંગલીયા કલા તથા મોચી કળા સહિતની વસ્તુઓના માર્કેટિંગ માટે ખાસ બજાર બનાવવામાં આવશે.જયા પ્રવાસીઓ વસ્તુઓની ખરીદી કરી શકશે.
વઢવાણમાં આવેલા ઔતિહાસિક સ્થળો
માધાવાવ
રાણેકદેવી મંદિર
ગંગાવાવ
હવા મહેલ
વઢવાણ કિલ્લો
ધરમ તળાવ
મહાવીર સ્વામીના પગલા