ઉકાણી પરિવાર ભવ્ય – દિવ્ય મનોરથ પ્રસંગે ઇશ્વરીયાના વૃંદાવનધામમાં ‘ગોકુળીયો’ માહોલ
મનોરથ ઉત્સવને ‘સોનેરી સંભારણું’ બનાવવા બદલ ધર્મપ્રેમી જનતાનો આભાર માનતા : મૌલેશભાઇ ઉકાણી
- Advertisement -
ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીની દીકરીના લગ્નમાં આવનાર મહેમાનોનાં નામ સાથે વૃક્ષ
5000 વૃક્ષનું વાવેતર કરી જતન કરવાનો નિર્ણય: દર 3 મહિને તેઓને ફોટા સાથે અપડેટ મોકલાશે
યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારએ વૃંદાવનધામ ખાતે ‘ધ્વજાજી’ના દર્શન કર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
ગુજરાતના હર્બલ જાયન્ટ તરીકે ઓળખાતા દિગ્ગજ ઉદ્યોગપતિ અને બાનલેબ ના મેનેજીંગ ડાયરેકટર મૌલેશભાઇ ઉકાણી પરિવાર દ્રારા યોજાયેલા ત્રિદિવસીય મનોરથ ઉત્સવમાં ઇશ્વરીયા ખાતે ભવ્યાતિભવ્ય ‘વૃંદાવન ધામ’ ને નિહાળવા ત્રણ દિવસમાં રાજકોટની ધર્મપ્રેમી જનતાએ સહભાગી બની મનોરથ ઉત્સવને સોનેરી સંભારણું બનાવ્યુ હતું.
ઉકાણી પરિવારની લાડકવાયી દિકરી ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ યોજાયેલા ત્રિદિવસીય મનોરથ અને નાથદ્વારાની ‘ધ્વજાજી’ ના દર્શન કરી રાજકોટના વૈષ્ણવો અને ધર્મપ્રેમી જનતાએ આ અલોકિક અવસરનો મોટી સંખ્યામાં ધર્મલાભ લીધો છે. ઉકાણી પરિવાર દ્વારા સ્વજનો, મિત્રવર્તુળ, મોંધોરા મહેમાનો, સગા-સંબંધીઓ, રાજકીય-સામાજીક આગેવાનો ઉપરાંત આ ભવ્ય- દિવ્ય મનોરથ ઉત્સવમાં રાજકોટની જનતાને પણ જાહેર આમંત્રણ પાઠવી આ અણમોલ અવસરમાં ધર્મપ્રેમીઓને સહભાગી કર્યા હતા.
ત્રણ દિવસના મનોરથ પ્રસંગે રાજકોટની જનતાએ પણ ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાયને ઠાકોરજીની ધ્વજાજીના દર્શન તથા વૃંદાવનધામની પ્રતીકૃતિઓ નિહાળી અભિભૂત બની મૌલેશભાઇ ઉકાણી તથા ઉકાણી પરિવાર પર શુભેચ્છા વર્ષા કરી છે.
ત્યારે દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણી એ ઇશ્વરીયાના વૃંદાવન ધામ ખાતે યોજાયેલા મનોરથમાં જોડાય પ્રસંગને ઐતિહાસીક અને સોનેરી સંભારણું બનાવવા બદલ રાજકોટની ધર્મપ્રેમી જનતાનો ખૂબ- ખૂબ આભાર વ્યકત કર્યો હતો.
નાથદ્વારાના વિશાલબાવાના હસ્તે દીપદાન મનોરથ ઉજવાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
રાજકોટની ભાગોળે ઇશ્વરીયાના દ્રારકાધીશન ફાર્મ ની 12.5 એકર વિશાળ જગ્યામાં ઉભા કરાયેલા વૃંદાવનધામમાં ઉકાણી પરિવાર આયોજીત ત્રિદિવસીય મનોરથ અને શ્રીનાથદ્વારાના ધ્વજાજી આરોહણ ઉત્સવમાં રાજકોટના લાખો વૈષ્ણવો અને ધર્મપ્રેમી જનતાએ સહભાગી થઇ ‘ગોકુળીયો’ માહોલ સર્જી દીધો છે. લાખો વૈષ્ણવો ભાવિકોએ ‘ઠાકોરજી’ ના દર્શન કરી ધન્યતા અનુભવી છે. બાનલેબ ઉકાણી પરિવાર દ્વારા ત્રીદિવસીય મનોરથ ઉત્સવમાં વૃંદાવન ધામની પાવન ભૂમીમાં સવારે 8:30 થી અને સાંજે 4:30 થી 8:30 દર્શન તથા ધ્વજાજી આરોહણ, છપ્નભોગ મનોરથ, ગૌચરણ મનોરથ, દિપદાન મનોરથના પ્રસંગો ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયા હતા. ગઇ કાલે નાથદ્વારાના પ.પૂ.ગો.પા. 105 વિશાલબાવાના ની નિશ્રામાં દિપદાન મનોરથ ઉજવાયો હતો. વૃંદાવનધામ ખાતે નાથદ્વારાના મોતી મહેલના વિશાળ મંદિરને 5100 દિવડાઓથી શણગારવામાં આવ્યુ હતુ. દિવડાઓના ઝગમગાટથી મોતીમહેલનો અદભૂત અને અલૌકિક દ્રશ્ય સર્જાયુ હતુ. રાજકોટવાસીઓએ બહોળી સંખ્યામાં દિપદાન મનોરથના દર્શનનો લ્હાવો લીધો હતો. ગઇકાલે ઉજવાયેલા દિપદાન મનોરથમાં રાજકોટના વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પૂજય વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારે વૃંદાવનધામ ખાતે પધરામણી કરી ‘ધ્વજાજી’ ના દર્શન કર્યા હતા. ગઇકાલે ઉકાણી પરિવારના ડો. ડાયાભાઇ ઉકાણી, મૌલેશભાઇ ઉકાણી, સોનલબેન મૌલેશભાઇ ઉકાણી, નટુભાઇ ઉકાણી, શ્રીમતી અમીતાબેન નટુભાઇ ઉકાણી, લવ ઉકાણી, રીશા લવ ઉકાણી, જય ઉકાણી, હેમાંશી જય ઉકાણી, ચિ.રાધા અને ચિ. રીશી, વિધી, યુગ સહીતના પરિવારજનોએ પૂ. વિશાલ બાવાના સાનિધ્યમાં દિપદાન મનોરથની ઉજવણી કરી હતી.
દીકરીની દરેક ઈચ્છા પૂર્ણ કરવી એ દરેક પિતાની કોશિશ હોય છે. તેમાં પણ લગ્ન સમયે એટલે કે પિતાના ઘરમાંથી દીકરી વિદાય લે એ પૂર્વે તેમની દરેક ઈચ્છા પુરી કરવામાં આવતી હોય છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં જાણીતા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીની દીકરી રાધાના લગ્ન પ્રસંગ યોજાનાર છે. ત્યારે તેઓ પણ અન્ય પિતાની જેમ દીકરીની ઈચ્છા પૂર્ણ કરી રહ્યા છે. લગ્નના પ્રસંગો પૂર્વે પ્રભુની સાક્ષાત હાજરી અને આશીર્વાદ મેળવવાની ઈચ્છા પૂર્ણ કરી ત્રણ દિવસીય શ્રીનાથજી ધજા આરોહણ ઉત્સવ બાદ હવે બીજો એક સંકલ્પ પણ પૂર્ણ કરવા જઇ રહ્યા છે. આ સંકલ્પની અંદર તેઓ એક પિતાની જવાબદારી નિભાવી પુત્રીની સાથે સાથે પ્રકૃતિની પણ જાળવણી કરવા સંકલ્પ કર્યો છે.
ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીએ જણાવ્યું હતું કે, દરેક દિશામાંથી અનેક શુભ વિચારો પ્રાપ્ત થાય તેવી હું પ્રાર્થના હમેશા કરું છું. સમાજસેવા સાથે સાથે આ વખત મને મારી દીકરીનો પ્રસંગ યાદગાર બનાવવા માટે અલગ વિચાર આવ્યો છે અને આ માટે અનોખો સંકલ્પ પણ લીધેલો છે. વિશ્વ આખું જ્યારે પર્યાવરણની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે પર્યાવરણ બચાવવા અભિયાન સાથે અમારા પ્રસંગમાં દીકરીને આશીર્વાદ આપવા આવનાર સૌ મહેમાનોના નામે અમે એક વૃક્ષનું જતન કરવાના છીએ. દ્વારકાધીશ સદૈવ અમારી સાથે રહે અને તેની કૃપા સમગ્ર જીવ શ્રુષ્ટિ પર રહે તે માટે છોડમાં પણ રણછોડ માની 5000 વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન અમારા દ્વારા કરવામાં આવશે.
11 જાન્યુઆરી, 2024ને શનિવારના રોજ (આવતીકાલે) દીકરી રાધાની રિંગ સેરેમની યોજાવાની છે. આ માટે આખી યુરોપિયન થીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં સૌ પ્રથમ એન્ટ્રન્સમાં આકર્ષક પ્રવેશ દ્વાર જે ઇગ્નુ આકારનો અને આખો કાચથી મઢેલો છે, જેમાં લાઇટિંગ પણ હશે. ત્યારબાદ એન્ટ્રી પોઈન્ટમાં જ ફોરેનમાં હોય તેવો ફાઉન્ટેન મુકવામાં આવ્યો છે. ખાસ ડિનર સિટિંગની વાત કરીએ તો તેમાં પણ આકર્ષક ડેકોરેશન સાથે ઇગ્નુ આકારમાં નીચે પાણી હોય અને તેની ઉપર ડાઇનિંગ ટેબલ મુકવામાં આવ્યા હોય તેવું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે. તમામ પ્રકારની અલગ-અલગ વાનગીઓ મહેમાનો માટે પીરસવામાં આવશે. જે મુખ્ય સ્ટેજ છે તે પણ ખુબ જ વિશાળ અને આકર્ષક બનાવવામાં આવ્યું છે. રિંગ સેરેમની પછી ખાસ સમારોહ દુબઈ ખાતે આબુધાબીમાં યોજવામાં આવશે.
પુષ્ટીમાર્ગીગ વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રધાન પીઠ ગણાતા શ્રીનાથદ્વારા હવેલીના શ્રી ગો.તિ. રાકેશ ઇંદ્રદમન મહારાજની આજ્ઞા અને પૂ.ગો.ચિ. વિશાલબાવા ની નિશ્રામાં રાજકોટમાં સ્વયંમ ઠાકોરજીનું સ્વરૂપ ગણાતા ‘ધ્વજાજી’ તથા મનોરથ ઉત્સવમાં નાથદ્વારાના મુખ્યા નિલેશ સાંચીહર, તિલકાયતના મુખ્ય સલાહકાર અંજન શાહ, શ્રી નાથદ્વારા મંદિરના અધિકારી અનીલ સનાઢય, લીલાધર પુરોહીત, ઉમંગ મહેતા, પુષ્ટી સંપ્રદાયના પ્રચારક મહર્ષિ વ્યાસ, સહીત શ્રી નાથદ્વારા મંદિરની ટીમ જોડાય હતી. પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં ઠાકોરજી વૈષ્ણવોને દર્શન આપવા તેમના ઘેર જાય તેવી પરંપરાના ભાવ સાથે ‘ધ્વજાજી’ ના રૂપમાં દર્શન આપે છે. જે વૈષ્ણવો નાથદ્વારા ખાતે જઇ શકતા ન હોય તેઓ અહિ શ્રીનાથજી ના દર્શનનો લાભ લઇ ભાવવિભોર બન્યા હતા. ઉકાણી પરિવારના ઇશ્વરીયા સ્થિત દ્વારકાધીશ ફાર્મ ખાતે ઉભા કરવામાં આવેલા વૃંદાવન ધામ ખાતે ત્રિદિવસીય મનોરથ પ્રસંગે વૈષ્ણવો તથા રાજકોટવાસીઓ કૃષ્ણભકિતના રંગે રંગાયા હોય તેવો માહોલ સર્જાયો છે. વૃંદાવન ખાતે નિર્મિત ગીરીરાજ પર્વત, નાથજીના ના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્રારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકૃતી ના દર્શન માટે ભાવીકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. વૃંદાવનધામ ખાતે ‘ઠાકોરજી ના દર્શન તથા મનોરથ ઉત્સવમાં ત્રણ દિવસ માં અંદાજે ર લાખ જેટલા ભાવિકોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.