કોંગ્રેસમાં બેઠકનો દોર શરૂ: કૉંગ્રેસનાં નવા જિલ્લા પ્રમુખની નિમણુંક કરાઇ
ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખનાં રાજીનામા બાદ કોંગી આગેવાનોએ બળાપો ઠાલવ્યો
- Advertisement -
રાજીનામુ આપનાર જિલ્લા પ્રમુખ ભાજપમાં જોડાયા બાદ તેમને કયું સ્થાન મળશે? ભારે ચર્ચા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમજ રાજકીય માહોલ જામી રહ્યો છે. તેમજ રાજકીય પક્ષોએ તડજોડની રાજનીતિ શરૂ કરી દીધી છે. પક્ષ બદલું નેતા પોતાનું રાજકીય ભવિષ્ય સુરક્ષિત કરવા એનકેન પ્રકારે કોઈપણ પક્ષ સાથે જોડાઈને ચૂંટણી જીતવા કાવાદાવા શરૂ કરી દીધા છે. સૌરાષ્ટ્રમાં હજુ પણ કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી શક્યતા જોવા મળી રહી છે. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપ સાથે રામ રામ કરવાના છે. તેની સાથે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ રાજીનામુ આપતા કોંગ્રેસ બે બાકળી બની છે. ગઈકાલ કોંગ્રેસ ભવન ખાતે ખાસ તાકીદની મિટિંગ મળી હતી.જેમાં ધારાસભ્ય ભીખાભાઇ જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને હોદેદારો સહીત મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મૂળ વિસાવદરના ભરત અમીપરાની નિમણૂંક કરી દેવામાં આવી હતી. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા પક્ષ છોડતા તેના વિકલ્પ રૂપે વિસાવદરના ત્રણ કોંગ્રેસ આગેવાનોએ ચૂંટણી લડવાની દાવેદારી રજુ કરી હતી.જેમાં ભાવેશ ત્રાપસીયા,કરસન વાડોતરીયા,ભરત વિરડીયાએ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. હવે વિસાવદર બેઠક પરથી હર્ષદ રીબડીયા બે વાર ચૂંટણી જીતીને ખુબ લોક ચાહના મેળવી લીધી હતી. એવા સમયે ભાજપ પક્ષ વિસાવદરમાંથી હર્ષદ રીબડીયાને ટિકિટ અપાશે કે કેમ ?તે પણ ભાજપ મોવડી મંડળ શું નિણર્ય લે છે તે જોવાનું રહ્યું.તો બીજી તરફ વર્ષોથી ભાજપ સાથે જોડાઈને પાર્ટીનું કામ કરતા ભાજપ નેતાની મુશ્કેલી વધી છે અને ટિકિટ મળશે કે કેમ તેવો ગણગણાટ શરૂ થયો છે.
- Advertisement -
વિસાવદર કોંગી બેઠક માટે ત્રણ દાવેદાર
વિસાવદર બેઠક ના ધારાસભ્યના રાજીનામાં બાદ વિસાવદર બેઠક માટે ત્રણ કોંગી આગેવાનમાં નામ સામે આવ્યા છે. જેમાં મૂળ વિસાવદરના ભાવેશ ત્રાપસીયા,કરસન વાડોતરીયા,ભરત વિરડીયાએ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી. હવે કોંગ્રેસ મોવડી મંડળ કોના પર કળશ ઢોળશે તે આગામી દિવસામાં જોવાનું રહ્યું.
જિલ્લા પ્રમુખનું રાજીનામાં બાદ બીજા પ્રમુખની નિમણૂંક
વિસાવદર ધારાસભ્યના રાજીનામાં બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકીયાએ રાજીનામું આપવાનો પત્ર પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો છ. જયારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસને તૂટતી બચાવા માટે કોંગ્રેસ ભવન ખાતે ખાસ બેઠક મળીને કોંગ્રેસના કાર્યકારણી પ્રમુખ તરીકે ભરત અમીપરાની નિમણૂંક કરી દેવામાં આવી હતી.
હર્ષદ રીબડીયા સાથે નટુભાઈને ક્યું સ્થાન?
ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડ્યો અને ભાજપમાં જોડાશે.એવા સમયે જિલ્લા કોંગ્રેસ પ્રમુખએ પણ રાજીનામુ આપ્યું છે હવે નટુભાઈ પોકીયા ભાજપમાં જોડાશે તો તેમને ક્યું સ્થાન મળશે તે ચર્ચાનો વિષય બન્યો છે.