ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.27
રાજુલા તાલુકાના ડુંગર ગામે સરપંચ દ્વારા ગ્રામ પંચાયત કચેરીને પોતાના ઘર પાસે બનાવતા હોય જેને અટકાવવા માટે પ્રાંત અધિકારી મહુલ બરાસરાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામા આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, રાજુલા તાલુકાનુ સૌથી મોટુ ડુંગર ગામ છે. અને તેની વસ્તી આશરે પંદર હજાર કરતા વધારે છે. અને ગામમાં મેઈન બજાર આવેલ છે. અહીં આજુબાજુનાં બાર જેટલા ગામડાના લોકો ખરીદીઓ કરવા માટે આવતા હોય છે. ડુંગર ગામમાં આઝાદી મળી ત્યારથી જ મેઈન બજારમાં બસ સ્ટેન્ડ પાસે ગ્રામ પંચાયત કચેરી આવેલી છે. જે કચેરી જર્જરીત થતા આશરે દસેક વર્ષ પહેલા તેને પાડી નાખી હતી. આજદિન સુધી ગ્રામ પંચાયત કચેરી ભાડાનાં મકાનમાં છે. ગ્રામ પંચાયત કચેરી નવી બનાવવા માટે ભાડાનાં મકાનમાં ફેરવવામાં આવી ત્યારથી જ તત્કાલીન સરપંચ મનિષભાઈ મહેતા દ્વારા ગ્રામ પંચાયત કચેરી તેની મુળ જગ્યાએ બનાવવા માટે મંજુર કરાવી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયત કચેરીનું બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવેલ. અને દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કરી પ્લીન્થ સુધીનુ બાંધકામ પણ કરાવેલ છે.
- Advertisement -
ત્યારબાદ ગ્રામ પંચાયતની ચુંટણી થઈ અને સત્તા પલ્ટો થતા ડુંગર ગામના સરપંચ તરીકે નિર્મળાબેન શુકલભાઈ બળદાણીયા ચૂંટાઈને આવ્યાં. આ ગ્રામ પંચાયત કચેરીનું બાંધકામ આગળ વધારવાનું બંધ કરવામાં આવ્યું કારણ કે, હાલના સરપંચનુ મકાન ગામની બહાર દુર હોય તેઓને ગામની વચ્ચે કચેરી થાય તે ગમતુ ન હોય અને ગ્રામ પંચાયત કચેરીનુ બાંધકામ અધુરૂ છોડી અને સરપંચ તેમના ઘર પાસે નવી જમીન ગ્રામ પંચાયત કચેરી બનાવવામા આવી રહી છે. જે ગામથી દુર થાય છે. ત્યાં માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ ખાતર અને પોતાને અનુકુળ આવે તે માટે ગ્રામ પંચાયત બનાવતા ગ્રામજનોમા ભારે રોષ જોવા મળ્યો છે. હાલ નવી ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુર્હત પણ કરાયું છે. ઉલ્લેખનિય એ છે કે, ગ્રામ પંચાયત કચેરી મુળ જગ્યાના બદલે નવી ગ્રામ પંચાયત અન્ય જગ્યાએ ખસેડવામા આવતા ગ્રામજનોને દુર પડે તેવી સ્થિતિ સર્જાઈ. અને જુની ગ્રામ પંચાયત ગામના મધ્યમાં છે. અને ગ્રામ પંચાયત કચેરી મુળ જગ્યાએ જ હોવાથી ગ્રામજનોને કચેરીએ જવુ અનુકુળ પડે છે. ત્યારે જુની જગ્યામાં જ ગ્રામ પંચાયત કચેરી બનાવવા માટે ગ્રામજનોએ માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામા આવી છે.