સ્વાસ્થ્ય અને ડોકટરની સલાહનું પાલન કરીને રાજીનામું આપવાના ઉપરાષ્ટ્રપતિ ધનખડનાં નિર્ણય સામે અનેક સવાલો : ધનખડના રાજીનામાં બાદ કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ? ભાજપ પાસે પુરતું સંખ્યાબળ નથી ત્યારે નીતિશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુને પિચ પર લાવવા પડશે
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા એક પત્રમાં આરોગ્ય સંબધી કારણો અને મેડિકલ સલાહનો સંદર્ભ આપી બંધારણની કલમ 67(એ) હેઠળ પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. સંઘપ્રમુખ મોહન ભાગવતે તાજેતરમાં જ 75 વર્ષે નિવૃત્તિની વાત કહી હતી તેવા સમયે જ ધનખડે રાજીનામું આપ્યું છે.
- Advertisement -
ધનખડની ઉંમર 74 વર્ષ છે તેમણે 18 મેના રોજ 74 વર્ષ પૂર્ણ કર્યા હતાં એટલે કે હાલમાં તેમનું 75મું વર્ષ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સંઘ પ્રમુખ મોહન ભાગવતે 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થવાની વાત કહી હતી.
તેમણે રાષ્ટ્રપતિને તેમના સહયોગ અને સૌહાર્દપૂર્ણ સંબધો માટે અભિનંદન પાઠવ્યા હતાં અને સાથે જ વડાપ્રધાન અને મંત્રી પરિષદનો પણ તેમના સહયોગ અને માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો હતો. જગદીપ ધનખડેએ પોતાના રાજીનામામાં લખ્યું છે કે મને સંસદના તમામ માનનીય સભ્યોથી જે સ્નેહ, વિશ્વાસ અને સન્માન મળ્યું છે તે સમગ્ર જીવન તેમના હૃદયમાં સંચિત રહેશે.
ઉપરાષ્ટ્રપતિ તરીકે પોતાના કાર્યકાળને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે આ મહાન લોકતંત્રમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે મળેલા અનુભવ અને દ્રષ્ટિકોણો માટે હું ઉંડાણપૂર્વક આભારી છું. ભારતના આર્થિક વિકાસ અને અભૂતપૂર્વ પરિવર્તનકારી સમયનું સાક્ષી બનવું મારા માટે સૌભાગ્ય અને સંતોષનો વિષય રહ્યો છે. તેમણે ભારતના વૈશ્વિક ઉદય અને ઉજ્જવલ ભવિષ્ય પર અતૂટ વિશ્વાસ દર્શાવ્યો હતો. જગદીપ ધનખડેએ ૨૦૨૨માં ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતાં. 6 ઓગસ્ટ, 2022ના રોજ થયેલ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમણે વિપક્ષ ઉમેદવાર માર્ગરેટ અલ્વાને હરાવ્યા હતાં. ધનખડને કુલ 725માંથી 528 મતો મળ્યા હતાં જ્યારે માર્ગરેટ અલ્વાને 182 વોટ મળ્યા હતાં. ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમણૂક પહેલા તે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતાં. જગદીપ ધનખડનો જન્મ 18 મે, 1951ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો.