ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
વેરાવળમાં અજાણ્યા 75 વર્ષના વૃદ્ધ મહિલા રાતના 1 વાગ્યે રેલ્વે સ્ટેશનમાં એકલતા અને નિ:સહાય અનુભવતાં હતાં, આ વૃદ્ધાનું ઉંમરના કારણે શરીર પણ સાથ આપતું ન હોય તેથી તેમને સુરક્ષિત રાત્રિ રોકાણ માટે 181 ટીમે મદદ કરી હતી.
વૃદ્ધાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મારે મુંબઈ જવું છે પરંતુ મારી ટ્રેન દિવસના 11:45 વાગ્યે છે અને ગુજરાતમાં હું અજાણી છું. આમ તેઓ શું કરવું અને ક્યાં જવું તેની અસમંજસમાં હતાં. આવા કપરા સમયે અભયમ ટીમે વૃદ્ધ મહિલાની મદદ કરી હતી.
આ કોલ આવતાની સાથે જ વેરાવળ અભયમ ટીમના ફરજ પરના કાઉન્સિલર દાફડા અંજના વિમેન કોન્સ્ટેબલ સોનલ ખાણીયા તેમજ પાયલોટ રમેશભાઈ બામણીયા સહિતની ટીમ રેલવે સ્ટેશન પર પહોંચી તો શારીરિક રીતે અક્ષમ, લાકડીના ટેકે ચાલતા 75 વર્ષના વૃદ્ધા નિરાશ તેમજ નિ:સહાય વદને એક પાટલી પર બેઠા હતાં.
- Advertisement -
આ વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરતા તેમણે જણાવ્યું કે, તેઓ 8 મે ના રોજ મુંબઈથી ગુજરાત આવ્યાં હતાં. તેમણે મુંબઈ પરત જવા માટે ટિકિટ બુક કરાવી હતી, પરંતુ ટ્રેનનો સમય બીજા દિવસે 11:45નો હોવાના કારણે અગમ્ય કારણોસર રેલવે સ્ટેશનમાં જ રાત વિતાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ રાતના સમયે રેલ્વે સ્ટેશનમાં એકલ-દોકલ વ્યક્તિની અવરજવર અને એકલતા અનુભવતા હોવાના કારણે 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.
181 ટીમ દ્વારા આ વૃદ્ધાને હિંમત અને આશ્ર્વાસન આપવામાં આવ્યું હતું. આ વૃદ્ધા 181 મહિલા હેલપલાઇન વિશે તેમજ કામગીરી વિશે જાણકારી મેળવીને આભાર વ્યક્ત કર્યો હતો. આમ અભયમ ટીમે કપરા સમયે વૃદ્ધાને આશરો અને આશ્ર્વાસન આપી મદદ કરી હતી.