વેશભુષા સ્પર્ધામાં બહોળી સંખ્યામાં બાળકો જોડાશે: પ્રભુજીનું પારણું ઝૂલાવવાના અનેરા અવસરનો હજારો ભાવિકો લાભ લેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી 10 એપ્રિલના રોજ જૈનમ્ના સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે બાળકો માટે આકર્ષણ કેન્દ્ર અને બાળકોની પ્રિય એવી વેશભુષા સ્પર્ધા તા. 10 ને ગુરુવારના રોજ સવારે 8-00થી 9-00 કલાકે ઈમ્પિરીયા બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ ખાતે યોજાવા જઈ રહી છે. આ વેશભુષા સ્પર્ધાનું તા. 10 ને ગુરુવારના રોજ સવારે 8-00 કલાકે દાનવીર દાતા ખારા પરિવારના મોભીઓ વિરેન્દ્રભાઈ ખારા, ગીરીશભાઈ ખારા, સુનીલભાઈ ખારા, જીતુભાઈ ખારાના વરદ્હસ્તે સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
- Advertisement -
દર વર્ષે મોટી સંખ્યામાં બાળકો આ સ્પર્ધામાં ઉત્સાહભેર જોડાય છે. ભગવાન મહાવીરના જીવન પ્રસંગને આધારિત પાત્રોની વેશભુષાથી સજ્જ બાળકો અવનવા રંગબેરંગી પોશાકો અને વિવિધ પ્રકારના આભુષણો, ગેટ અપ અને મેક અપ ધારણ કરીને જોડાય છે ત્યારે માહોલ અદ્ભુત બની જાય છે. ભગવાન મહાવીર સ્વામી, માતા ત્રિશલા, સાધુ-સાધ્વીજી ભગવંતો જેવા વિવિધ પાત્રોનું સ્વરૂપ બાળકો ધારણ કરે છે. આ અંગે સ્પર્ધા અંગે રચાયેલી કમિટીના અમીષભાઈ દેસાઈ- તપસ્વી સ્કૂલ, રુષભભાઈ શેઠ, નિપુણભાઈ દોશીએ વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે બાળકોમાં ખૂબ જ પ્રિય એવી આ સ્પર્ધામાં જોડાવવા માટે બાળકોનો ઉત્સાહ વધી રહ્યો છે. આ સ્પર્ધામાં જોડાવવા ઈચ્છુક બાળકોના વાલીઓ સમયસર સંપર્ક કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. આ વર્ષે પણ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને જૈન શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બેનાણીના સહયોગથી ગીફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને ધર્મસભામાં સન્માનિત કરી તેમને ઈનામો પ્રદાન કરવામાં આવશે.
ગત વર્ષે અન્ય એક આકર્ષણ જેની જૈન અને જૈનેત્તર એમ તમામ લોકોએ ખૂબ જ નોંધ લીધી હતી તેવા પ્રભુજીનું પારણું આ વર્ષે પણ તા. 9 એપ્રિલ ને બુધવારના રોજ આયોજિત થનાર છે. આ પ્રભુજીનું પારણું આકર્ષણને દાતા પરિવાર પ્રદિપભાઈ વોરા તથા વોરા પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં તેમના વરદ્હસ્તે શુભારંભ કરી લોકો માટે દર્શનાર્થે ખુલ્લુ મૂકવામાં આવશે. ભગવાનને લાડ લડાવતા હોય તેવા ઉત્કૃષ્ઠ ભાવ સાથે ભગવાનનું પારણું ઝૂલાવીને હજારોની સંખ્યામાં માત્ર જૈનો જ નહીં પણ સમાજનો તમામ વર્ગ ધન્યતા અનુભવે છે. ગયા વર્ષે તો અનેક સાધુ અને સાધ્વીજી ભગવંતોએ પણ પારણાની મુલાકાત લઈને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ વર્ષે પણ ભૂપેન્દ્ર રોડ ખાતે વિર પ્રભુનું પારણું નામક આકર્ષણ યોજાવા જઈ રહ્યું છે. રંગબેરંગી પુષ્પો, ફળફળાદી, સુકામેવાથી સજ્જ મંડપમાં માતા ત્રિશલાને આવેલ 14 સ્વપ્નોની પ્રતિકૃતિઓની વચ્ચે શુદ્ધ ચાંદીના પારણામાં પોઢેલા વિર પ્રભુ મહાવીરના બાળ સ્વરૂપને નિહાળવાનો અનેરો અવસર મળશે.
આ પારણાનો લાભ લેવા કમિટીના હેમલભાઈ કામદાર, ધૈર્યભાઈ પારેખ, વિશાલભાઈ વસા, સાગરભાઈ હપાણી, આકાશભાઈ ભલાણી, શૈલેનભાઈ શાહ, પ્રતિકભાઈ ગાંધી, હાર્દિકભાઈ કામાણી, નિલેશભાઈ દેસાઈ, તરૂણભાઈ કોઠારી, દર્શનભાઈ શાહ, અનીષભાઈ વાધર, કૌશીકભાઈ કોઠારી, કેવલભાઈ ઉદાણી, શ્રેણીકભાઈ વોરા, યશભાઈ ઉદાણી, પુષ્પકભાઈ જૈન અને ભવ્યભાઈ વોરા વગેરેએ સમસ્ત જૈન સમાજ ઉપરાંત જૈનેત્તરોને પણ ભાવભેર અપીલ કરી છે.
આજરોજ આ બંને કાર્યક્રમોની માહિતી આપવા ‘ખાસ-ખબર’ની મુલાકાતે જૈનમ્ પરિવારના અમીષભાઈ દેસાઈ (તપસ્વી સ્કૂલ), નિપુણભાઈ દોશી, દિવ્યેશભાઈ ગાંધી, પારસભાઈ શેઠ (સી.એ.), શૈલીનભાઈ શાહ, કૌશીકભાઈ કોઠારી, પુષ્પકભાઈ જૈન, ભવ્યભાઈ વોરા, પ્રતિકભાઈ ગાંધી, હાર્દિકભાઈ કોઠારી, અનીષભાઈ વાધર, ધૈર્યભાઈ પારેખ, કુશલભાઈ કોઠારી હાજર રહ્યા હતા.