અમદાવાદના ઘાટલોડિયાના ખેડૂત પાસેથી જમીન ખરીદી સોદો કેન્સલ કરી તેને વ્યાજે પૈસા આપી ઉઘરાણી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત રાજ્યભરમાં વ્યાજખોરો ફરી બેફામ બન્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી વ્યાજખોરીની ઘટનામાં વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં જ સૌરાષ્ટ્રના શિક્ષણજગત અને સામાજિક સંસ્થાને શર્મસાર કરતી એક વ્યાજખોરીની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના હેમુગઢવી હોલ પાછળ આવેલી ક્રિષ્ના સ્કૂલ તેમજ ભાવનગર હાઈવે પર આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલક તેમજ સરદારધામના ટ્રસ્ટી સામે ઠગાઈ અને વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટના અમીન માર્ગ પર આવેલા નર્મદા પાર્ક પાસે રહેતા મહેશ ઉર્ફે મહેન્દ્ર ગજેરા સામે સામે અમદાવાદના બોપલમાં પોલીસ સ્ટેશનમાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા મહેશજી ઠાકોર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર ગજેરા ક્રિષ્ના સ્કૂલના સંચાલક ઉપરાંત સરદારધામના ટ્રસ્ટી છે. અને હાલ તેમના વિરુદ્ધ ઠગાઈ, વ્યાજખોરી સહિતની ફરિયાદ નોંધાયા બાદ તેઓ ગાયબ થઈ ચૂક્યા છે. બોપલ પોલીસ તેમની ધરપકડ માટે રાજકોટ સ્થિત નિવાસસ્થાને પણ પહોંચી હતી પરંતુ તેઓ ત્યાં હાજર મળ્યા નહતા. હાલ મહેન્દ્ર ગજેરા ભૂગર્ભમાં છે.
બનાવની વિગત અનુસાર ખેડૂત મહેશજી ઠાકોર પાસેથી આઠ શખ્સોએ ભેગા મળીને જમીન ખરીદવાનું નક્કી કરી બાદમાં કેન્સલ કરીને ખેડૂત પાસે રૂપિયા પરત માંગ્યા હતા.
- Advertisement -
સરદારધામના ટ્રસ્ટી અને ક્રિષ્ના સ્કૂલના સંચાલક મહેશ ઉર્ફે મેહન્દ્ર ગજેરાએ 4 કરોડ વ્યાજે આપી 9 કરોડ વસૂલ્યા અને ખેડૂતની જમીન પણ બારોબાર વેંચી દીધી!
જમીન કૌભાંડ મામલે અમદાવાદ પોલીસના રાજકોટમાં દરોડા: એકની ધરપકડ
જે બાદ ત્રણ ટકાના વ્યાજે રૂ. 4.10 કરોડ આપીને તેની સામે રૂ. 9.68 કરોડ વસૂલવા માનસિક ટોર્ચર કરીને જમીનના દસ્તાવેજ કરાવી લીધા હતા. આટલું જ નહીં ખેડૂતની જાણ બહાર જમીનના વેચાણ દસ્તાવેજ કરી જમીન બારોબાર અન્યને વેચી નાખીને જમીન પચાવી પાડી હતી તથા પૈસા પણ વસૂલી લીધા હતા. મહેશજી ઠાકોરે મહેન્દ્ર ગજેરાને રૂ. 4.10 કરોડની સામે રૂ. 9.68 કરોડ ચૂકવ્યા હતા. તેમ છતા તેમની જાણ બહાર મહેન્દ્ર ગજેરાએ જમીન બારોબાર વેચાણ દસ્તાવેજ કરીને અસિત પટેલને આપી દીધી હતી. આમ તમામ શખ્સોએ ભેગા મળીને રૂપિયા લઇને જમીન પણ પડાવી લીધી હતી અને રૂપિયા પણ લઈ લીધા હતા. જેથી મહેશજી ઠાકોરએ મહેન્દ્ર ગજેરા, ભૂપેશ પટેલ, વિજય પટેલ, રમેશ પટેલ, સુનિલ પટેલ, સુધીર પટેલ, રાજુ ઠુમ્મર, દિવ્યેશ ડેડકિયા સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા આઠેય વ્યાજખોરો વિરુદ્ધ આઈપીસીની કલમ 465, 467, 468, 471, 120 બી, 40 સી, 42 એ, 42 ડીની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. દરમિયાન એક આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
- Advertisement -
વિદ્યાર્થીઓની ફી વ્યાજે ફેરવે છે ગજેરા?
જાણવા મળતી વિગત અનુસાર ક્રિષ્ના સ્કૂલના સંચાલક મહેન્દ્ર ગજેરાના ચાવવાના અને દેખાડવાના બંને દાંત અલગ છે. ઓન પેપર શૈક્ષણિક અને સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા મહેન્દ્ર ગજેરા પડદા પાછળ વ્યાજવટાવ અને જમીન-મકાનનો વ્યવસાય કરે છે. વિદ્યાર્થીઓ પાસેથી આવેલી બેનામી ફીનું રોકાણ મહેન્દ્ર ગજેરા વ્યાજવટાવ અને જમીન-મકાનના ધંધામાં કરે છે. બોપલના મહેશજી ઠાકોર ઉપરાંત અન્ય કેટલાક લોકોને પણ પૈસા વ્યાજે આપી મહેન્દ્ર ગજેરા બેગણું વ્યાજ વસૂલી જમીન પણ પડાવી લેવાનું હોવાનું જાણવા મળે છે.
મહેન્દ્ર ગજેરાનું અસ્સલ નામ મહેશ વલ્લભ ગજેરા!
હાલમાં અમદાવાદના બોપલમાં જેની વિરુદ્ધ ઠગાઈ અને વ્યાજખોરી સહિતના ગુના દાખલ થયા છે તેમાના એક આરોપીમાં રાજકોટના મહેશ ગજેરાનું નામ છે. આ મહેશ ગજેરા એટલે મહેન્દ્ર ગજેરા. સરદારધામમાં ટ્રસ્ટી અને ક્રિષ્ના સ્કૂલમાં સંચાલક રહેલા મહેશ ગજેરા સૌને પોતાની ઓળખ મહેન્દ્ર ગજેરા તરીકે આપે છે. ડબલ નામ અને ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતા મહેશ ઉર્ફે મહેન્દ્ર ગજેરાએ તમામ હદ વટાવી નાના માણસનું શોષણ કરવામાં કશું જ બાકી રાખ્યું નથી એવું તેમના જ કેટલાક અંગત લોકોનું મંતવ્ય છે.
મહેન્દ્રના કહેવા પર પૈસા-જમીન પડાવવા રાજુ અને દિવ્યેશ ધમકી આપતા, મહેશજીને માનસિક ટોર્ચર કરતો ગજેરા
મહેશજી ઠાકોર રૂપિયાની જરૂર પડતા રાજકોટમાં મહેન્દ્ર ગજેરાની ઓફિસે ગયા હતા. જેમાં તેને ત્રણ ટકાના વ્યાજે રૂ. 4.10 કરોડ લીધા હતા. બદલામાં સિક્યુરિટી પેટે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. મહેશજીને વ્યાજના ચંગૂલમાં ફસાવી મહેન્દ્ર રૂપિયા તથા વ્યાજની ઉઘરાણી કરવા લાગ્યા હતા તેમજ અવારનવાર ફોન કરીને માનસિક ટોર્ચર કરતા હતા. આ ઉપરાંત મહેન્દ્ર ગજેરાના કહેવાથી જ રાજુ ઠુમ્મર, દિવ્યેશ ડેડકીયા ફોન કરીને મહેશજી ઠાકોરને ધમકી આપતા હતા. ખાસ કરીને ગજેરા માનસિક ટોર્ચર કરતો હતો એવો એફઆઈઆરની નકલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મહેન્દ્ર ગજેરાના ત્રાસથી પીડિત મહેશજી પાટીદાર સંસ્થાના શરણે?
મહેશજી ઠાકોર પાસેથી પૈસા અને જમીન પડાવી લેનારા મહેન્દ્ર ગજેરાનો ત્રાસ દિવસેદિવસે વધતો જતો હતો તેથી મહેન્દ્ર ગજેરાથી પીડિત મહેશજી પાટીદાર સંસ્થાના શરણે પહોંચ્યા હતા એવું જાણવા મળે છે. મહેશજીએ પાટીદાર અગ્રણી ગગજીભાઈ સુતારીયા અને પરેશભાઈ ગજેરાને મહેન્દ્ર ગજેરાને સમજાવવા જણાવ્યું હતું પરંતુ અડિયલ મહેન્દ્ર ગજેરાએ કોઈનું માન્યું કે રાખ્યું નહતું. અંતે નાછૂટકે મહેશજી ઠાકોરને મહેન્દ્ર ગજેરા સહિતના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી પડી હતી.